જવેલર્સના શો-રૂમમાં કામ કરતાં કર્મચારી પર વિશ્વાસ મુકવો માલિકને ભારે પડ્યો
જવેલર્સના શો-રૂમમાંથી વિશ્વાસુ મેનેજરે જ રૂા.૬૦ લાખના દાગીનાની ચોરી કરી
(એજન્સી)અમદાવાદ, શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલા અલંકાર જવેલર્સના શો-રૂમમાંથી ૬૦ લાખના દાગીનાની ચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરી કોઈ શાતીર ચોર નહીં, પંરતુ જવેલર્સના શો-રૂમમાં નોકરી કરતા મેનેજરે કરી છે.
ગઈ કાલે શો-રૂમના માલિક કમ્પ્યુટરમાં સોના-ચાંદીના દાગીનાની એન્ટ્રી ચેક કરતા હતા ત્યારે ૬૦ લાખના દાગીનાનો સ્ટોક મળ્યો નહીં, જેથી તેમને શંકાઈ હતી. શો-રૂમના માલિકે તમામ કર્મચારીઓની પૂછપરછ કરી હતી, જેમાં મેનેજરે સંતોષકારક જવાબ નહીં આપતા શંકાની સોય તેના ઉપર ગઈ હતી. શો-રૂમના માલિકે પૂછપરછ કરતાં મેનેજર ભાંગી પડ્યો હતો અને તેણે બે વર્ષમાં ટુકડે-ટુકડે ૬૦ લાખના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
થલતેજ વિસ્તારમાં આવેલા રઘુકુલ બંગલોઝમાં રહેતા મનોજ પટેલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વિક્રમ રાવલ (રહે. પારિજાત વિશ્વાસ ફ્લેટ, વટવા) વિરૂદ્ધ ૬૦ લાખના દાગીનાની ચોરીની ફરિયાદ કરી છે મનોજ પટેલ તેમના પરિવાર સાથે રહે છે અને સાયન્સ સિટી રોડ ઉપર આવેલા સાગા એન્સ્ટીન નામના બિલ્ડિંગમાં અલંકાર જ્વેલર્સ નામનો શો-રૂમ ધરાવે છે.
મનોજ પટેલના શો-રૂમમાં પાંચ યુવકો નોકરી કરે છે, જેમાં વિક્રમ રાવલ નામનો મેનેજર ચોરી કરીને નાસી ગયો છે. વિક્રમ રાવલ મૂળ મુંબઈનો છે અને છેલ્લા ઘણા સમયથી વટવામાં આવેલા પારિજાત વિશ્વાસ ફ્લેટમાં રહે છે. મનોજ પટેલ વિક્રમને દર મહિને રર હજાર પગાર આપતા હતા, જેનો નોકરીનો સમય સવારના સાડા દસથી સાંજના આઠ વાગ્યા સુધીનો હતો.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે મનોજ પટેલ, જે સોના-ચાંદીના વેપારીઓ પાસેથી દાગીનાની ખરીદી કરે છે તેમાં તે પોતાના અલંકાર જવેલર્સના ટેગ મારીને વેચાણ કરે છે. દાગીનાની ખરીદી તેમજ વેચાણની તમામ એન્ટ્રી વિક્રમ રાવલના કમ્પ્યુટરમાં રહે છે.
ગઈ કલો મનોજ પટેલ અને તેમનો દીકરો ધ્રુવિલ કમ્પ્યુટરમાં કરેલી સોના-ચાંદીની એન્ટ્રી તથા હાજર સ્ટોકની ગણતરી કરતા હતા ત્યારે ૧પ૮૬.પ૬૦ ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત ૬૦ લાખ રૂપિયા થાય છે તેનો સ્ટોક મળ્યો નહીં. મનોજ પટેલે આ મામલે વિક્રમને પૂછતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં.