પાક.ને આતંકવાદ બંધ કરવા તૂર્કીયે, ચીન સમજાવેઃ ભારત

નવી દિલ્હી, ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા સાથે ભારતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખી છે. આતંકવાદનો રાજદ્વારી રીતે મુકાબલો કરવા ભારતે પાકિસ્તાન સમર્થક ચીન અને તૂર્કિયેને ચીમકી આપી છે.
સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનું પાકિસ્તાને બંધ કરવું જોઈએ અને આ માટે તેને તૂર્કીયે-ચીને સમજાવવું જોઈએ. પાકિસ્તાન પ્રત્યે આ બંને રાષ્ટ્રોના વલણ સંદર્ભે ભારતે ચીમકી આપી હતી કે, એકબીજાની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ રહીએ તો જ સંબંધો ટકી શકે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યુ હતું કે, ભારતના ‘ઓપરેશન સિંદૂર’ વખતે પાકિસ્તાને તૂર્કીયેના ડ્રોન અને ચીન બનાવટની મિસાઈલોનો ઉપયોગ કરી તણાવ વધારવા પ્રયાસ કર્યાે હતો. દાયકાઓથી પાંગરી રહેલા આતંકવાદ અને સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિમાં પાકિસ્તાન ફેરફાર કરે, તે માટે તૂર્કીયે સમજાવે તેવી આશા છે.
નેશનલ સીક્યુરિટી એડવાઈઝર અજિત દોવાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે ૧૦મેના રોજ વાત કરી હતી.પાણી અને લોહી એક સાથે વહી શકે નહીં, તેવી નીતિનો દૃઢ પુનરોચ્ચાર કરતાં ભારતે સ્પષ્ટ કર્યુ હતું કે, પાકિસ્તાન તરફથી આતંકવાદને સમર્થન રોકવા બાબતે નક્કર પગલાં ન લેવાય ત્યાં સુધી સિંધુ જળ સંધિનો અમલ થશે નહીં.
રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ઈસ્લામાબાદ સાથે દ્વિપક્ષી વાટાઘાટો માત્ર પાકિસ્તાને પચાવેલા કાશ્મીર બાબતે થઈ શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર વિવાદ ઉકેલવા મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી છે.SS1MS