કાલુપુર સ્ટેશન પર આવતી-જતી બે ટ્રેન એક મહિના સુધી રદ

ગાંધીનગર, દેશભરમાં લાખો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. એવામાં રેલવે મુસાફરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ- લખનઉ- એશબાગ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે રેલવે વિભાગ દ્વારા ૨ ટ્રેનને એક મહિના સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પાવર બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો તેમાં પ્રભાવિત થશે. જેમાં ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેનને આગામી ૨૧ માર્ચથી ૨૮ એપ્રિલ સુધી રદ્દ કરવામાં આવી છે.
આ સિવાય ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, મુઝફ્ફરપુર- સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનને લખનૌ-કાનપુરના માર્ગ પરથી ડાયવર્ટ કરાઈ છે.
અમદાવાદ ડિવિઝનના પાલનપુર-ઉમરદશી સ્ટેશનની વચ્ચેના બ્રિજના પુનઃનિર્માણના કાર્યને લઈ સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ તેમજ ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેનને ૧૮ માર્ચના રોજ ઊંઝા-સિદ્ધપુરના બદલે પાટણ-ભિલડીના માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.SS1MS