બારડોલીમાં જીવંત વીજ તારને અડકી જતાં બે મહિલાનાં મોત

Files Photo
બારડોલી, બારડોલીમાં ખેતરાડી વિસ્તારમાં સીતાડોરીના ફુલ તોડવા અને આરમ શોધવા ગયેલી બે મહિલા ખેતરમાં પડેલ જીવંત વીજતારના સંપર્કમાં આવતા બંનેમહિલાના કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત થયા હતા આ અંગે બારડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના માતા ફળિયામાં રહેતા મંજુબેન ભીખાભાઈ રાઠોડ (ઉ.વ.પ૮ા અને લલિતાબેન ચીમનભાઈ રાઠોડ (ઉ.વ.પ૬) રવિવ્રે સવારે ૧૧ વાગ્યે સીતાડોરીના ફુલ તોડવા તેમજ આરમ (એક જાતનું મશરૂમ) તોડવા માટે ખેતરાડી વિસ્તારમાં ગયા હતા.
મોડી રાત સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન બંનેમહિલાઓ આરટીઓ ભરવાડ વસાહતની પાછળ આવેલા ભૂતમામા મંદિર નજીક શેરડીના ખેતરના શેઢા પર મૃત હાલતમાં મળી આવી હતી.
ખેતરમાં વીજપોલ તુટીને નીચે પડયા હતા. જેના જીવંત વીજતારના સંપર્કમાં આવતા વીજકરંટથી બંનેના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ બંને મહિલાના મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. એક ફળિયાની બે મહિલાના મોત થવાથી વિસ્તારમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. આ અંગે જાણ થતાં બારડોલી ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે, ચોમાસાની સિઝનમાં વીજ વાયરના કારણે મોત થવાના કિસ્સામાં વધારો થતો હોય છે. વીજ વિભાગ દ્વારા પણ ભેજવાળા વાતાવરણમાં વીજ તાર કે પોલને ન અડકવાની સુચના વારંવાર આપવામાં આવતી હોય છે તેમ છતાં ભૂલથી માનવ જાનહાનીના કિસ્સા નોંધાય છે.