UCC સમિતિના સભ્યો દ્વારા સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિના સભ્યો દ્વારા સુરેન્દ્રનગરમાંથી અભિપ્રાયો મેળવાયા
કોઈપણ નાગરિક “સમાન નાગરિક સંહિતા” માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in, પોસ્ટ, ઈ-મેઇલ અથવા રૂબરૂ આવીને પણ તા.૧૫ એપ્રિલ સુધી પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે :-સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીના (નિવૃત આઈ.એ.એસ)
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમિતિના સભ્યો દ્વારા યુ.સી.સી. અંગે સમાજના વિવિધ સમુદાય, વર્ગો ,સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો પાસેથી મૌખિક તથા લેખિત પ્રતિભાવો-અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.
સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીનાએ (નિવૃત આઈ.એ.એસ) બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર પોસ્ટ, ઈ-મેઇલ અથવા સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર રૂબરૂ આવીને પણ તા.૧૫ એપ્રિલ સુધી પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે. રાજ્યના દરેક ખૂણે-ખૂણેથી મંતવ્યો આવે અને ખાસ કરીને ૧૮ વર્ષથી વધારે વયના લોકોને પોતાના પ્રતિભાવો આપવા અપીલ કરી હતી.
આ તકે જિલ્લા સરકારી વકીલ શ્રી, બાર એસોસિએશનના સભ્યો, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી મુક્તાબેન ડગલી તેમજ સામાજિક, ધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ સમાન નાગરિક સંહિતા મામલે પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. જેની સમિતિના સભ્યોએ નોંધ કરી હતી. ઉપરાંત ઉપસ્થિત લોકોએ આ અંગે પોતાના લેખિત અભિપ્રાયો પણ સમિતિને આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ક્લેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર શ્રી આર.કે.ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.