આ યોજના હેઠળ છેલ્લા ૬ માસમાં ૩૬ લાખથી વધુ બાંધકામ શ્રમિકોને ભોજનનો લાભ અપાયો
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ મંત્રીમંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે.
આ સાથે રાજયના અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ મહાનુભાવોના હસ્તે નવા કુલ-૧૫૨ ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે તેમ, પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-૨૦૧૭ થી બાંધકામ શ્રમિકોને નજીવા દરે ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કાર્યરત છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વર્ષ-૨૦૨૨માં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કુલ-૨૨ કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં ૧૧૮ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા ૬ માસમાં ૩૬.૩૩ લાખ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે જેનો રૂા.૧૬ કરોડથી વધુનો ખર્ચ થયો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આગામી સમયમાં શરૂ થનાર નવા ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૪૯, સુરત-૨૨, જામનગર-૧૦, વડોદરા-૯, ગાંધીનગર-૮, પાટણ-૭, નવસારી અને મોરબીમાં ૬-૬, બનાસકાંઠા અને રાજકોટમાં ૫-૫, વલસાડ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણામાં ૪-૪, ભરૂચ-૩ તેમજ ભાવનગરમાં- ૨ એમ કુલ -૧૫૨નો સમાવેશ થાય છે.