USમાં મૂળ ભારતીય CEOની રૂપિયા ૧૨૪૪ કરોડના છેતરપિંડી કેસમાં ધરપકડ

તન્મય શર્માએ આરોગ્ય વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરી હતી
ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા જારી કરાયેલ ચાર્જશીટમાં શર્મા પર ચાર વાયર ફ્રોડ , એક કાવતરું અને ત્રણ ગેરકાયદેસર રેફરલનો આરોપ મૂકાયો
લોસ એન્જલસ,ભારતીય મૂળના ફાર્મા ઉદ્યોગપતિ તન્મય શર્માની અમેરિકામાં રૂ. ૧૨૪૪ કરોડ (૧૪૯ મિલિયન ડોલર)ના હેલ્થકેર ફ્રોડ કેસમાં લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેઓ ડ્રગ ડિ-એડિકશન અને માનસિક સ્વાસ્થ્ય સેવા પ્રદાતા સોવરિન હેલ્થ ગ્રુપના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ છે. આ સંસ્થા હવે બંધ થઈ ગઈ છે.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર ૬૧ વર્ષીય શર્માએ આરોગ્ય વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરીને લગભગ ૧૪૯ મિલિયન ડોલરના ખોટા દાવા કર્યા હતા. આ ઉપરાંત દર્દીઓની ભરતી માટે ૨૧ મિલિયન ડોલર (લગભગ રૂ. ૧૭૫ કરોડ)ની ગેરકાયદેસર લાંચ પણ આપવામાં આવી હતી. ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા જારી કરાયેલ ચાર્જશીટમાં શર્મા પર ચાર વાયર ફ્રોડ, એક કાવતરું અને ત્રણ ગેરકાયદેસર રેફરલનો આરોપ મૂકાયો છે.
FBIની ટીમ વર્ષ ૨૦૧૭થી આ કેસની તપાસ કરી રહી હતી.આ અંતર્ગત સોવરિન હેલ્થના દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત સારવાર કેન્દ્રો પર પણ દરોડા પડાયાં હતા. આ સંસ્થાએ ૨૦૧૮માં તેની કામગીરી બંધ કરી દીધી હતી. આ કેસમાં સહ-આરોપી પોલ જિન સેનની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે કોર્ટમાં પોતાને નિર્દાેષ ગણાવ્યા છે. તેમની ટ્રાયલ ૨૯ જુલાઈથી શરૂ થશે. તન્મય શર્મા મૂળ આસામના ગુવાહાટીના રહેવાસી છે અને તેમણે ડિબ્›ગઢ મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કર્યા પછી તેઓ યુકે અને પછી યુએસમાં તબીબી અને સંશોધન ક્ષેત્રમાં સક્રિય હતા. તેઓ સ્કિઝોફ્રેનિયા અને માનસિક બીમારીઓ પર સંશોધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા છે. તેમણે ૨૦૦થી વધુ સંશોધન લેખો પ્રકાશિત કર્યા છે અને ૫ પુસ્તકો પણ લખ્યા છે.