ટ્રેડ ડીલમાં ભારતના હિત સચવાશેઃટ્રમ્પ પર વિશ્વાસ રાખો, અમેરિકા

વોશિંગ્ટન, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ માટે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોમાં ફળદાયી પરિણામ મળવાની આશા યુએસ કોમર્સ સેક્રેટરી હાવર્ડ લ્યુટનિકે વ્યક્ત કરી છે. તેમણે ભારતને ભરોસો અપાવતા કહ્યું હતું કે, ટ્રમ્પ પર વિશ્વાસ રાખો.
ટ્રેડ ડિલમાં ભારતના હિતો જળવાશે. બંને દેશને મદદરૂપ બને તેવો રસ્તો મળી ગયો છે અને નજીકના સમયમાં ટ્રેડ ડીલ શક્ય બનશે. ભારત તરફથી યોગ્ય વ્યક્તિની પસંદગી થઈ હતી અને અમેરિકાની પસંદગી પણ યોગ્ય હતી, જેના કારણે વાટાઘાટો સફળ થઈ હોવાનું માનું છું. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં વક્તવ્ય દરમિયાન હાવર્ડે ભારત-અમેરિકાના વ્યાપારી સંબંધો અંગે વાત કરી હતી.
ટ્રમ્પ સરકારના મુખ્ય ટ્રેડ નેગોશિએટર્સમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હાવર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારતે ભરોસો રાખવો જોઈએ. તેઓ ભારતના હિતોની ચોક્કસ કાળજી રાખશે. ભારત સાથે વાટાઘાટોમાં અમેરિકા તરફથી નેગોશિએટર તરીકે લ્યુટનિકને પસંદ કરવામાં આવ્યા છે.
ટ્રમ્પના દૃષ્ટિકોણ અંગે સ્પષ્ટતા કરતાં હાવર્ડ લ્યુટનિકે કહ્યું હતું કે, યુએસ પ્રમુખે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી છે, પરંતુ તેઓ માત્ર અને માત્ર અમેરિકા અંગે વિચાર કરતા નથી. વધુમાં હાવર્ડે કહ્યું હતું કે, ટ્રમ્પે પોતાના ઘરને જાળવવાનું છે, જેથી અમેરિકા વિશાળ અને મજબૂત રહે. જો કે સાથી રાષ્ટ્રોની અવગણના કરવાની તેમની નીતિ નથી.