અમેરિકાએ ‘વોટર ટર્નઆઉટ’ માટે કોઇ પૈસા આપ્યા નથીઃ નાણાં મંત્રાલય

ભારતને ૭ પ્રોજેક્ટ્સ માટે રૂ.૬૫૦૦ કરોડ આપ્યા હોવાનું સ્વીકાર્યું
ભારતમાં અમેરિકા સરકારે USAID મારફતે આપેલા નાણા બાબતે નાણાં મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરાયો છે
નવી દિલ્હી,
ભારતમાં અમેરિકા સરકારે USAID મારફતે આપેલા નાણા બાબતે નાણાં મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરાયો છે. આ રિપોર્ટ મુજબ, અમેરિકાએ ભારતમાં ૭ પ્રોજેક્ટ્સ માટે ૭૫૦ મિલિયન ડોલર (અંદાજે રૂ.૬૫૦૦ કરોડ)નું ફંડ આપ્યુ હતું. ભારત સરકારને અપાયેલા આ નાણામાં ચૂંટણી દરમિયાન મતદાન વધારવા માટે કોઈ ફંડ અપાયું હોવાનો ઉલ્લેખ નાણાં મંત્રાલયના રિપોર્ટમાં નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારતમાં ચૂંટણી પ્રક્રિયા માટે ૨૧ મિલિયન ડોલરનું ફંડ અપાયું હતું. આ ફંડને વિદેશ મંત્રી એસ. જયશંકરે ચિંતાજનક બાબત ગણાવીને કહ્યું હતું કે, ભારત સરકાર આ બાબતે તપાસ કરી રહી છે.
ટ્રમ્પ સરકારે ચૂંટણી ફંડ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યા બાદ નાણા મંત્રાલયના આ ખુલાસાથી ભાજપ શાસિત એનડીએ અને વિરોધ પક્ષો વચ્ચે નવો મોરચો ખુલ્યો છે. નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન મળેલી USAID અંગે ખુલાસો કર્યાે હતો કે, ગત વર્ષ દરમિયાન અમેરિકાએ કુલ ૭ પ્રોજેક્ટ માટે ૯૭ મિલિયન ડોલર (અંદાજે રૂ.૮૨૫ કરોડ) આપ્યા હતા. ૨૦૨૪ લોકસભાની ચૂંટણી પહેલા મતદાનને પ્રોત્સાહન આપવા માટે કથિત ફંડ અપાયું હોવાનો ઉલ્લેખ આ રિપોર્ટમાં કરાયો નથી. અમેરિકાએ વર્ષ દરમિયાન કૃષિ, ખાદ્ય સલામતી, પાણી, ગટર અને આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત ઊર્જા અને આપત્તિ વ્યવસ્થાપન માટે ફંડ આપ્યુ હતું. ss1