ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંવિધાનનો અમૃત મહોત્સવ” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે
દેશ અને ગુજરાતના ઐતિહાસિક સીમચિહ્નનોને યાદગાર બનાવવા વર્ષ ૨૦૨૫માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ભવ્યાતિભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરાઇ
ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જયંતી સંદર્ભે ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૫ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાશે
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જયંતીના ઉપલક્ષ્યમાં પણ ઉજવણી કરાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી વર્ષ ૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનનો અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત આવતા વર્ષે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી કરાશે. સાથે જ, ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૫ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનો નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષે સંવિધાનના અમૃત મહોત્સવ, સરદાર વલ્લભ પટેલની ૧૫૦મી જન્મ જયંતી, અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતી તેમજ જનજાતિય ગૌરવ વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળની સંચાલન સમિતિ તેમજ મુખ્ય સચિવ શ્રીની અધ્યક્ષતા હેઠળ કારોબારી સમિતિની રચના કરાઇ છે.