Western Times News

Gujarati News

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ૮૬ વર્ષની ઉંમરે નિધન

મુંબઈ, દેશના દિગજ્જ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે ૮૬ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. મુઠ્ઠી ઊંચેરા માનવી અને વિનમ્ર ઉદ્યોગપતિની નામના ધરાવતા રતન ટાટાના અવસાનના અહેવાલથી સામાન્ય માણસથી લઈને નેતાઓ તથા ઉદ્યોગજગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ઉંમરને લગતી સમસ્યાઓને પગલે ભારતીય ઉદ્યોગજગતના પિતામહ તરીકેની નામના દરાવતા ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ટાટા જૂથે મીઠાથી લઈને સોફ્ટવેર સહિતના વિવિધ ક્ષેત્રમાં વિસ્તરણ કર્યું હતું.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને એક નિવેદનમાં ટાટાના નિધનની પુષ્ટિ કરી હતી. ટાટાને પોતાના મિત્ર અને માર્ગદર્શક ગણાવતાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, તેમના નિધનથી જૂથને કદીયે ના પુરાય તેવી ખોટ પડી છે. હજી સોમવારે જ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સ પર સ્વાસ્થ્ય અંગેની અફવાઓને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ચિંતાનું કોઇ કારણ નથી. મારી તબિયત સારી છે.”

જોકે, બુધવારે તેમને આઇસીયુમાં સારવાર અપાતી હોવાના અહેવાલ મળ્યા હતા. રતન ટાટા ભારતીય ઉદ્યોગ જગતના મહારથી છે. તે ૨૦૧૨માં દેશના અગ્રણી અને પ્રભાવશાળી ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. તેમના કાર્યકાળમાં ટાટા જૂથે વૈશ્વિક સ્તરે વિસ્તરણ કર્યું હતું.

ટાટા જૂથને ટેટલી, કોરસ અને જેગુઆર લેન્ડ રોવર જેવી વૈશ્વિક કંપનીઓ હસ્તગત કરવા સાથે જૂથને સ્થાનિક ઔદ્યોગિક ગૃહમાંથી ‘વૈશ્વિક પાવરહાઉસ’ બનાવ્યું હતું. ટાટાના નેતૃત્વ હેઠળ ટાટા જૂથે વિશ્વની સૌથી સસ્તી કાર નેનો લોન્ચ કરી હતી.

ઉપરાંત, ટીસીએસને વૈશ્વિક સ્તરે આઇટી ક્ષેત્રમાં આગેવાન બનાવ્યું હતું. રતન ટાટાએ ૨૦૧૨માં ટાટા જૂથના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું. તેમને ટાટા સન્સ અને અન્ય ગ્‰પ કંપનીઓના ચેરમેન એમિરેટસનો હોદ્દો અપાયો હતો. આ કંપનીઓમાં ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ પણ સામેલ છે.

જૂથમાં વિવાદને પગલે ૨૦૧૬માં રતન ટાટાએ ટૂંકા ગાળા માટે વચગાળાના ચેરમેનની જવાબદારી સંભાળી હતી.ભારતીય ઉદ્યોગજગતમાં અત્યંત મહત્વનું યોગદાન આપવા બદલ રતન ટાટાને ૨૦૦૦ની સાલમાં પદ્મ ભૂષણ અને ૨૦૦૮ની સાલમાં પદ્મ વિભૂષણ એમ દેશના બે સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઉદ્યોગ જગત ઉપરાંત સમાજના ઉત્થાન માટેની અનેક પહેલને યાદ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેમના વિનમ્ર સ્વભાવ, સમાજને બહેતર બનાવવાની પ્રતિબદ્ધતા અને ઉદારતાને કારણે તેઓ હંમેશા લોકોના હૃદયમાં જીવિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિગ્ગજ ઉદ્યોગપતિને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેમના નિધનથી દેશના ઉદ્યોગજગતને ના પુરાય તેવી ખોટ પડી છે.

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહલ ગાંધીએ રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ એક દિર્ઘદૃષ્ટિ ધરાવતાં મહામાનવ હતાં. તેમણે તેમના વિઝનથી ઉદ્યોગજગત અને માનવસેવા એ બંને ક્ષેત્રે અમીટ છાપ છોડી છે. રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીએ પણ ટાટાના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.