2.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વીરપુર એસ ટી બસ સ્ટેશનનું લોકાર્પણ

(માહિતી) લુણાવાડા, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વીરપુર મુકામે બાંધવામાં આવેલ નવીન એસ. ટી બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જિનની સરકાર છેવાડાના દરેક વ્યક્તિની દરકાર લઈ ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ત્યારે જાહેર મિલકતને સાચવવાની જવાબદારી આપના બધાની છે જ્યારે પણ આપણે બીજાને ગંદકી કરતાં જોઈએ છે ત્યારે તરતજ તેમને રોકવા જોઈએ.
આજના સમયે જેવા બસ સ્ટેશનો મોટી સિટીમાં જોવા મળે છે તેવા જ બસ સ્ટેશનો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ મંત્રથી ચાલતી સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના કાર્ય હરહમેશ કરે છે. સૌથી સસ્તી મુસાફરી એટલે એસ ટી ની મુસાફરી દરેક નાગરિકોને છેવાડા સુધી સુરક્ષિત પોહચડતી સવારી એસ ટી સવારી છે.
આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને વિભાગીય નિયામકશ્રી એસ ટી નડિયાદએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે અંદાજિત રૂ.૨૧૩.૨૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેશનમાં ૫ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા માટેનો વેઇટિંગ હોલ, કંટ્રોલ રૂમ, કેન્ટીન
( વિથ કિચન), વોટર રૂમ, ઇલેક્ટ્રીક રૂમ,સ્ટોલ, ડ્રાઇવર કંડક્ટર રેસ્ટ રૂમ,લેડીઝ કંડકટ રેસ્ટ રૂમ અને મુસાફર જનતા માટે સૌચાલય જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી દશરથભાઈ બારિયા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી પિનાકીનભાઈ શુક્લ, ભૂમી દાતાશ્રી અંબાલાલ શાહ, તાલુકા પંચાયત પ્રમુકશ્રી, વિરપુર મમલતદારશ્રી સહિત એસ ટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.