પાણીનો હથિયારની જેમ ઉપયોગ નહીં કરવા દઈએઃ શેહબાઝ શરીફ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ ભારત સાથે વાતચીત કરવા હવે આંતરરાષ્ટ્રીય મંચનો સહારો લેવો પડ્યો છે. ભારતે ઈસ્લામાબાદને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ના કરે ત્યાં સુધી વાતચીતની કોઈ સંભાવના નહીં હોવાનું રોકડું પરખાવ્યા બાદ શરીફે ભારત દ્વારા સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના મુદ્દે વધુ એક વખત બળાપો ઠાલવ્યો છે.
શરીફે તાજિકિસ્તાનના પાટનગર દુશાનબે ખાતે ગ્લેસિયર્સની જાળવણી અંગેની ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું કે, પાકિસ્તાન ભારતને સિંધુ જળ સંધિ સ્થગિત રાખીને સંકુચિત રાજકીય લાભ હેતુ લાખો લોકોના જીવ જોખમમાં મુકીને હદ વટાવવા નહીં દે. ગાઝામાં પારંપરિક હથિયારોના ઉપયોગ થકી કરાયેલા ઘા હજુ તાજા છે ત્યારે અમે પાણીનો હથિયારની જેમ ઉપયોગ નહીં કરવા દઈએ.
આ પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રના ૮૦ સભ્ય રાજ્યોના ૨,૫૦૦ જેટલા પ્રતિનિધિઓ તથા ૭૦ આંતરરાષ્ટ્રીય આયોજકો ઉપસ્થિત હતા. ૨૨ એપ્રિલે પહેલગામ હુમલા બાદ પાક. વિરુદ્ધ ભારતે હાથ ધરેલી કાર્યવાહી હેઠળ સિંધુ જળ સંધિને સ્થગિત કરી હતી.
શરીફને ટાંકીને પાકિસ્તાનના ધ ડોન અખબારે જણાવ્યું કે, ભારતનો સિંધુ જળ સંધિ સ્થગિત રાખીને સિંધુ ક્ષેત્રના પાણીને રોકવાનો એકતરફી અને ગેરકાયદે નિર્ણય અત્યંત ખેદજનક છે.SS1MS