ભાવનગરમાં જૂની અદાવતમાં મહિલા પોલીસકર્મીના પુત્રની જાહેરમાં હત્યા

ભાવનગર, ભાવનગરમાં ધોળાદિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા કરી નખાઈ છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત તરફના રસ્તા પર બે અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસપુત્રની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન ઘટનાસ્થળે માતાએ આક્રંદ મચાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર તેના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. તે દરમિયાન બે શખસોએ કેવલ પર છરી વડે આડેધડ હુમલો કરી તેની હત્યા કરી નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયા.
આ હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.પુત્રની હત્યાના સમાચાર મળતા જ એએસઆઈ રેખાબેન આહીર પણ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે અધિકૃત પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતકની માતા રેખાબેન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવે છે.
ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંચવટી ચોક પાસે બપોરના સમયે કેવલ આહીર તેના મિત્ર સાથે સર્વિસમાં આપેલી કાર લેવા ગયો હતો, ત્યારે બે ઇસમોએ તેને ગળા અને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી છે.
પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ રૂટ પરના તમામ સીસીટીવી કેમેરાની તપાસ ચાલુ છે.SS1MS