પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર સ્વરૂપે સાઇકલ એનાયત કરાઈ

સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને મુખ્યમંત્રીએ ‘સિંદૂર વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ‘ અભિયાનના ટેબ્લો અને ૧૧ વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું
‘ઓપરેશન સિંદૂર‘ની સ્મૃતિમાં ચાંદલોડિયા વોર્ડમાં ૫૫૧ સિંદૂર વૃક્ષો સાથેનું ‘સિંદૂર વન‘ તૈયાર કરાશે
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર (4) મિલિયન ટ્રીઝ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં પંડિત શૈલેષ ડી શાસ્ત્રી દ્વારા ભૂમિ પૂજન અને વૃક્ષારોપણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરાવ્યું કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રેરક શાહ, સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણા અને તમામ ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને મોટી સંખ્યા માં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા ‘સિંદૂર વન’ના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ચાંદલોડિયા વોર્ડમાં ૫૫૧ સિંદૂર વૃક્ષો સાથેનું ‘સિંદૂર વન’ તૈયાર કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલા ટેબ્લો સહિત ૧૧ વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા કુલ ૩૮ જેટલા વૃક્ષરથ તૈયાર કરવામાં આવનાર છે.
એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા યોજાયેલ પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીએ પુરસ્કાર સ્વરૂપે સાઇકલ એનાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ૪૦ લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવશે. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃક્ષરથ નાગરિકોના ઘરે જઈને વિનામૂલ્ય વૃક્ષારોપણ કરી આપશે. આ માટે કોર્પોરેશન દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે તથા AMC સેવા એપ પરથી પણ નાગરિકો વૃક્ષારોપણમાં સહભાગી થઈ શકશે.
આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે. AMC દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઑક્સિજન પાર્ક પણ આ જ દિશામાં શહેરનું ગ્રીન કવર વધારી રહ્યા છે તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે.
વૃક્ષારોપણ અને સિંદૂર વન નિર્માણ પ્રારંભ પ્રસંગે શહેરના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, લોકસભા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકુમાર બેનિવાલ, ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઇ જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ તથા AMCના પદાધિકારીઓ/કર્મચારીઓ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP)ના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.