ઉમરેઠ-ડાકોર રોડ પર આવેલા મંદિરમાંથી અંદાજે 6 લાખની મત્તા ચોરી
(એજન્સી)આણંદ, આણંદ જિલ્લાના ઉમરેઠ-ડાકોર રોડ ઉપર આવેલા કોટયર્ક ધામ મંદિર ખાતે ગઈકાલે રાત્રિના સુમારે ત્રાટકેલા તસ્કરો ૬૨ હજાર રૂપિયા રોકડા તેમજ ચાંદીની ચીજવસ્તુઓ મળીને અંદાજે ૬ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરેઠ ડાકોર રોડ પર કોટયર્ક ધામ મંદિર આવેલ છે. મંદિરની સાચવણી માટે એક વોચમેનને પણ રાખવામાં આવ્યો હતો. દરમ્યાન ગઈકાલે રાત્રીના એક વાગ્યા બાદ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની ઓફિસમાં પ્રવેશ કરીને દરવાજાનો નકુચો તોડી નાંખી અંદર પ્રવેશ્યા હતા
ત્યારબાદ દાનપેટીમાંથી તેમજ ઓફિસમાંથી કુલ રોકડા ૬૨ હજાર તેમજ મંદિરમાંથી ચાંદીની આરતી, ચાંદીની બન્ટો, ગુલાબ ઝડી, અત્તરની ડબ્બી, પાંચ ચાંદીનાવાટકા, એક દર્પણ, બે દડા વગેરે મળીને કુલ છ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે પુજારી રાઘેશ્યામભાઈ મંદિરે પુજા કરવા માટે ગયા
ત્યારે તેમને ચોરી થયાની જાણ થઈ હતી જેેથી તેમણે મંદિરનો વહિવટ કરતા ફરિયાદી રાકેશભાઈ બંસીલાલ શાહને જાણકરતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. મંદિર ખાતે હાજર વોચમેનને પુછતાં તે રાત્રીના એક વાગ્યા બાદ સુઈ ગયો હતો
એ દરમ્યાન આ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતુ. ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને રાકેશભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.