જાસપુરમાં 31 હજાર દીવડા પ્રગટાવી દિપોત્સવ

અમદાવાદ, અમદાવાદમાં જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ થયો છે. ત્યારે આજે અહીં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે અંતર્ગત દિપોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જેમાં 31 હજાર દીવડા પ્રગટાવીને મા ઉમિયાના મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ હતી. આ ઝળહળતાં દીવડાનો અદભૂત નજારો સૌ કોઈના મન મોહી લે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર નયનરમ્ય નજારાના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. ડ્રોનથી લેવાયેલા વીડિયોમાં મંદિરની પ્રતિકૃતિનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
31 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો અને ભક્તો ઉમટી પડ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અદભૂત નજારાને પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો હતો.
જાસપુરમાં 100 વીઘા જમીનમાં બનવા જઈ રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલોનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે.
29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે.
જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.