યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ૨૪ કલાક હેલ્પ ડેસ્ક કામ કરશે
નવીદિલ્હી, આખરે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હુમલાના આદેશ આપ્યા છે. હજુ પણ હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. ત્યાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઈન શરૂ કરી છે.
ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે યુક્રેન માટે ઉડાણ ભરેલું એર ઈન્ડિયાનું એક વિમાન પાછું આવી ગયું છે. યુક્રેને કહ્યું કે તેણે પોતાના પૂર્વ વિસ્તારોમાં રશિયન સૈન્ય અભિયાનો વચ્ચે પોતાનો એર સ્પેસ બંધ કર્યો છે. યુક્રેનમાં રહેતા ભારતીયોની મદદ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. આ સાથે જ ત્યાં ફસાયેલા લોકો અહીં જણાવેલી વેબસાઈટ ઉપર પણ મદદ માંગી શકે છે.
યુક્રેનમાં રશિયાના હુમલાના કારણે ૭ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જ્યારે ૯ લોકો ઘાયલ થયા છે. બોર્ડર ગાર્ડ્સે જણાવ્યું કે રશિયાની ગ્રાઉન્ડ ફોર્સ પણ યુક્રેનમાં ઘૂસી ગઈ છે.
રશિયાના હુમલા બાદ યુક્રેનના લોકોમાં રાજધાની કીવ છોડવા માટે ભાગદોડ મચી ગઈ છે. જેા કારણે કીવના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ છે. આ બધા વચ્ચે યુક્રેનના સેન્ટ્રલ બેંકના ગવર્નરે કહ્યું કે તેઓ કેશ લિમિટ સેટ કરી રહ્યા છે. ત્યારબાદ લોકો પોતાના એકાઉન્ટમાંથી એક દિવસમાં એક લાખ Ukrainian hryvnia કાઢી શકશે.
રશિયાના હુમલા બાદ યુક્રેનના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું કે યુદ્ધ અપરાધીઓનું કોઈ શુદ્ધિકરણ નથી હોતું. આવા લોકો નરકમાં જાય છે.HS