કડાણા ડેમમાંથી ૧,૫૦,૦૦૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું

(પ્રતિનિધી) ગોધરા, કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઇ રહી છે.ઉપરવાસના બજાજસાગર સાગર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસમાં બજાજસાગર ડેમ માંથી હાલમાં ૧,૪૨,૫૧૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી ૧,૫૦,૦૦૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવા આવ્યું છે. .કડાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર, કડાણા અને લુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે.
કડાણા બંધમાંથી પાણીની આવકના પગલે જળ સ્તર વધ્યું છે. તેને અનુલક્ષીને અને તકેદારીના ભાગ રૂપે મહી નદી કાંઠાના સંબંધિત તાલુકાઓના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ કાંઠાના ગામોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરીને તકેદારીના યોગ્ય ઉપાયોની સૂચનાઓ આપી રહ્યા છે.
કાંઠાના ગામોના લોકોને બે કાંઠે વહેતી મહી નદીના પટમાં જવા,રોકાવા,પશુઓ ચારવા કે સ્નાન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. વઘુમાં કડાણા તાલુકાનો ઘોડીયાર લો-લેવલ બ્રીજ અને લુણાવાડા તાલુકાના હાડોડ લો-લેવલ બ્રીજ બંઘ કરવામાં આવનાર હોઈ પુલના બન્ને છેડે વાહનચાલકો અને નાગરીકોને આ બ્રિઝ પરથી પસાર ન થવા પણ જણાવવામાં આવ્યુછે.