50 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા લોકોને માર્ચ મહિનાથી કોરોનાની રસી અપાશે

નવી દિલ્હી, લોકસભામાં કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યુ છે કે, દેશમાં 50 કે તેનાથી વધારે વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માર્ચ મહિનાથી શરુ કરવામાં આવશે.
તેમના કહેવા પ્રામણે આ ગ્રૂપમાં 27 કરોડ લોકોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, આખા દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવાનુ શરુ કરવામાં આવ્યુ છે.
સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, પહેલા તબક્કામાં સરકારી અને પ્રાઈવેટ ક્લિનિકોના લગભગ એક કરોડ હેલ્થ વર્કર્સને રસી મુકવામાં આવનાર છે, બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ રહી છે અને કેટલાક રાજ્યોમાં 2 ફેબ્રુઆરીથી આ અભિયાન શરુ થઈ ગયુ છે.
ત્રીજા તબક્કામાં 50 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકોને રસી આપવાની કામગીરી માર્ચ મહિનામાં શરુ કરાશે.આ માટેની ચોક્કસ તારીખ આપવી હાલમાં તો મુશ્કેલ છે પણ આ અભિયાન માર્ચના ત્રીજા કે ચોથા સપ્તાહથી શરુ રકવામાં આવશે.અત્યાર સુધીમાં દેશમાં પચાસ લાખ લોકોને રસી મુકાઈ ચુકી છે.
સાથે સાથે તેમણે જાણકારી આપી હતી કે, દેશમાં બનેલી કોરોના રસી માટે 22 દેશો માંગ કરી ચુક્યા છે.ભારત 15 દેશોને રસી સપ્લાય કરી ચુક્યુ છે અને લાખો ડોઝ આ દેશોને મોકલવામાં આવ્યા છે.