મ્યુકરમાં સર્જરી બાદ સાજા થયેલા ૩૦% દર્દીને ત્રણ જ મહીનામાં ફરી મ્યુકરનો ચેપ
મ્યુકરમાઈકોસિસના પ૦ ટકા દર્દીને સર્જરી કરાવવી પડી
અમદાવાદ, મ્યુકર માઈકોસિસમાં સર્જરી કરીને હાડકું દુર કરવું પડયું હોય તેવા સાજા થયેલા દર્દીઓ પૈકી ૩૦ ટકા જેટલા દર્દીઓ ત્રણ મહીનાના અરસમાં ફરી એકવાર મ્યુકર માઈકોસીસની બીમારીમાં સપડાઈ રહયા છે. એટલું જ નહી પરંતુ દાંત-દાઢ સહીત જડબા કે તાળવાં દુર કરવા પડયા છે તેવા દર્દીઓને લીકવીડ ખોરાક લેવામાં પણ તકલીફ પડી રહી છે.
તેમ મ્યુકર માઈકોસીસ રિહેબેલીટેશન સોસાયટી ઓફ ઈન્ડીયાના પ્રમુખ ડો. કિરણ પટેલે મંગળવારે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું. બીજી તરફ મ્યુકરના દર્દીઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકે તે માટે ઈમીડીયેટ ફંકશનલ લોડીગ આઈએફએલ સારવાર કરાશે. આવા દર્દીઓ માટે સરકાર સહાય મદદ કરે તે માટે સરકાર સમક્ષ રજુઆત પણ કરાશે.
મ્યુકર માઈકોસીસ રીહેબીલીટેશન સોસાયટી ઓફ ઈન્ડીયાના સાથે સંકળાયેલા તબીબોએ કહયું હતું કે, ઓબ્યુટરેટરની મદદથી ફિકસ્ડ ટુથ અને બોન ફિકસ્ચર અને એ પછી પ્રોસ્થેસીસ મુકીને આંખનો ડોળો, નાક કાન જેવા કોસ્મેટીક અંગો મુકાય છે.
સર્જરી વિનાની સારવારમાં ચારથી પાંચ દિવસ લાગે છે. તબીબોએ કહયું કે, તાજેતરના આંકડા પ્રમાણે ગુજરાતમાં મ્યુકરના ૬,૭૩૧ કેસ નોધાયા છે. આ ચેપથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૬પ૬છે. દેશમાં મ્યુકરના મોત મામલે ગુજરાત બીજા ક્રમે છે. મ્યુકર થયો હોય તેવા પ૦ ટકા જેટલા દર્દીઓની સર્જરી કરવાની જરૂર પડી છે.