વસોના મેજીસ્ટ્રેટ સામેની કન્ટેમ્પ્ટની કાર્યવાહી હાઈકોર્ટે પડતી મૂકી
અરજદાર દ્વારા કેસ પરત ખેંચી લેવાનું વલણ અપનાવવામાં આવતાં રીટનો નિકાલ
અમદાવાદ, ખેડા જીલ્લાની વસો કોર્ટના મેજીસ્ટ્રેટ જજ સામેની કન્ટેમ્પ્ટની કાર્યવાહી હાઈકોર્ટ દ્વારા પડતી મુકવામાં આવી છે. આ મામલે અરજદારે કેસ પરત ખેચી લેવાનું કોર્ટ સમક્ષ જણાવતાં આ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.
બુધવારે આ કેસની સુનાવણી દરમ્યાન અરજદાર તરફથી ઉપસ્થિત એડવોકેટ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ હવે આ કેસ પરત ખેંચી લેવા માંગે છે. હાઈકોર્ટે આ રજુઆતને ધ્યાનમાં લઈ રીટનો નિકાલ કર્યો હતો.
આ કેસમાં જયંતીભાઈ ચૌહાણ અરજદાર છે અને તે પોતે અન્ય બે વ્યકિત સાથે આપઘાતની દુષ્પ્રેરણા અને ઘરેલું હિંસાના કેસમાં આરોપી છે. જે અંગેની ફરીયાદ વસો પોલીસ સ્ટેશનમાં વર્ષ ર૦૧પમાં નોધવામાં આવી હીત. આ મામલે આરોપીની ધરપકડ થયા બાદ તેેનો જામીન પણ છૂટકારો થયો હતો
અને ત્યારબાદ ફરીયાદને રદ કરાવવા માટે તેણે હાઈકોર્ટમાં કવોશિગ પીટીશન ફાઈલ કરી હતી. જેમાં હાઈકોર્ટે નીચલી અદાલતને ક્રિમીનલ કાર્યવાહી પર સ્ટેનો આદેશ કર્યો હતો. જેથી આ કેસની ટ્રાયલ ચાલવા પર આવી નહોતી. દરમ્યાન વર્ષ ર૦૧૯માં જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસ આર.કે. ત્રિવેદીએ જયંતીભાઈ અન્ય બે ભાઈઓ વિરૂધ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું.
વોરંટના પગલે તેમની ધરપકડ થઈ હતી અને તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. હાઈકોર્ટના કાર્યવાહી પરના સ્ટે છતાંય અરજદારની ધરપકડ થતાં તેણે આ નારાજગી સાથે હાઈકોર્ટમાં ઘા કરી હતી. જેમાં એવી રજુઆત કરી હતી કે, વર્ષ ર૦૧પમાં હાઈકોર્ટે સ્ટેનો આદેશ આપ્યો હતો.
અને તે અંગે નીચલી કોર્ટને યોગ્ય સમયે જ જાણ કરી દેવાઈ હતી. તેમ છતાંય મેજીસ્ટ્રેટે જાણી જાેઈને હાઈકોર્ટના આદેશની અવમાનના કરી છે. અને અરજદારની ધરપકડ માટેનું વોરંટ ઈસ્યુ કર્યું હતું.’
અગાઉ હાઈકોર્ટની ખંડપીઠે ખેડા જીલ્લામાં આવેલી વસો કોર્ટના મેજીસ્ટ્રેટ જજ ફર્સ્ટ કલાસનો કન્ટેમ્પટ ઓફ કોર્ટની નોટીસ ફટકારી હતી. કોઈ જયુડીશીયલ અધિકારીને હાઈકોર્ટે કન્ટેમ્પ્ટની નોટીસ ફટકારી હોય એવો આ રેર કેસ હતો.
જેમાં એક ક્રિમીનલ કેસની કાર્યવાહી પર હાઈકોર્ટે સ્ટે મૂકેલો હોવા છતાંય કન્ટેમ્પ્ટ કરાનર મેજીસ્ટ્રેટે ધરપકડ માટેનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. જેથી તેમણે હાઈકોર્ટના આદેશનો અનાદર કર્યો હોવાનું માની હાઈકોર્ટે નોટીસ ઈશ્યુ કરી હતી.