મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડામાં વન્યપ્રાણી સપ્તાહઅંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ)ગોધરા, મહીસાગર વન વિભાગ લુણાવાડા રેંજ દ્વારા કિસાન માદ્યમિક વિદ્યાલયના પ્રાંગણમાં પ્રકૃતિના સાનિધ્યમાં રજી ઓકટોબર થી ૮ મી ઓકટોબર વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત વન્યપ્રાણી જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉજ્જવળ ભવિષ્ય માટે વન્યપ્રાણીઓનું સન્માન ,વન અને વન્ય પ્રાણીઓનું મહત્વ ,વન અને માનવીય સંબધો આ ત્રણ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ ૮ અને ૯ ના મળીને આશરે ૬૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે લુણાવાડા રેંજ ફોરેસ્ટ ઓફીસર વૈભવ હારેજા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં વન્યપ્રાણી સંરક્ષણ અંગે જાગૃતિ, પ્રકૃતિ શિક્ષણ અંગે તેમજ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની મહત્વની જાેગવાઈઓ તેમજ માનવ–વન્યપ્રાણી ઘર્ષણ અટકાવવા અંગેની સમજ આપવામાં આવી હતી. આ વિસ્તારમાં વધુ જાેવા મળતા મગર જેવા વન્યપ્રાણીના રેસ્કયુ બાબતે લોકોને અગત્યની માહીતી પૂરી પાડવામાં આવી.
જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવેલ વન્યજીવના બચાવ,રાહત અને ફરીયાદ નિવારણ માટેની વન વિભાગની હેલ્પલાઈન ૮૩૨૦૦૦૨૦૦૦ વિષે માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે ચિત્ર સ્પર્ધાના અંતમાં ઉત્સાહપુર્વક ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ,દ્વિતીય અને તૃતિય એમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ એનાયત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વ્યકિતઓએ વન્યજીવ સંરક્ષણ કરવા બાબતે કટિબદ્ધતા દર્શાવી. લુણાવાડા રેંજ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને વન્યપ્રાણી સંરક્ષણ અંગેની તેમજ વન વિભાગને અનુલક્ષી અન્ય ઉપયોગી માહિતી મેળવી .
આ કાર્યક્રમમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે રસ ધરાવતાં બિન સરકારી સંગઠન મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના પ્રમુખ મયુર પ્રજાપતિ,સભ્યો વન કર્મીઓ તેમજ શાળાના આચાર્ય શિક્ષક ગણે ઉત્સાહસભર સાથ સહકાર આપી સફળ બનાવ્યો હતો.