દશેરાના તહેવાર દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ૨૨૨૫ જેટલી પેઢીઓની તપાસ કરીને ૧૧૯૮ કિ.ગ્રા રૂ.૪.૮૦ લાખથી વધુનો જથ્થો નાશ કરાયો
નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ૨૨૨૫ જેટલી પેઢીઓની તપાસ કરીને ૬૭૬ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧,૧૯૮ કિ.ગ્રા રૂ.૪.૮૦ લાખથી વધુનો ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન ૧૩૫૮ જેટલા ખાધ રજીસ્ટ્રેશન આપ્યા હતા. આ ઉપરાંત રાજ્યના નાગરિકોમાં શુદ્ધ અને સલામત ખોરાક અંગે માહિતી મળી રહે તે માટે ૮૧૯ જેટલા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩ લાખ ૧૩ હજારથી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. વધુમાં ૪૪૯ જેટલા ટ્રેનીંગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૯૨૪ જેટલા TPC ટેસ્ટ અને ૧૯૦૧ જેટલા અન્ય ટેસ્ટ કરીને રાજ્યમાં ૯૩૩ કિલોગ્રામ જેટલો ભેળસેળિયો ખોરાકનો રૂ. ૨ લાખથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યું હતું.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં વધુમાં જણાવાયું છે.