Western Times News

Gujarati News

૩૦ જૂન પછી દરેક ડેવલપર પ્રોજેક્ટના સ્ટેજ પ્રમાણે મકાનોની કિંમતોમાં ૫ થી ૧૦ ટકાનો ક્રમશઃ વધારો કરશે

ક્રેડાઈ અમદાવાદની વિશેષ બેઠક: મધ્ય પૂર્વ એશિયાના યુદ્ધના કારણે કન્સ્ટ્રકશન રૉ મટીરીયલ્સના વધતા ભાવ અને પ્રોપર્ટીની કિંમતો પર અસર અંગે ચર્ચા કરવા ૪૦૦થી વધુ સભ્યોની મીટિંગ યોજાઈ.

મટીરીયલ અને લેબરની અછત: સપ્લાય ચેઈન ખોરવાતા પ્રોજેક્ટ કોસ્ટ વધી છે, તેમજ અન્ય રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા પછી પણ મજૂરો પરત ન ફરતાં લેબરની ભારે અછત ઊભી થઈ છે.

પ્રોજેક્ટમાં વિલંબ અને દંડનો ભય: સામગ્રી અને મજૂરોની અછતને કારણે ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના લીધે રેરા (RERA) ના નિયમો મુજબ દંડ થવાનો આર્થિક બોજો ડેવલપર્સ પર વધી શકે છે.

સરકાર અને રેરાને રજૂઆત: વૈશ્વિક સંજોગો અને યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રેરા એક્ટની “ફોર્સ મૅજર” જોગવાઈ હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા વધારી આપવા સરકારમાં આશાસ્પદ રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ, મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે વધી રહેલ કન્સ્ટ્રકશન રૉ મટીરીયલ્સના ભાવોના કારણે બાંધકામ વ્યવસાય ઉપર જે રીતે ગંભીર અસર થયેલ છે અને તેના લીધે પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવા તા. ૧૫-૦૬-૨૦૨૬ના રોજ ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ વિશેષ મીટીંગમાં આશરે ૪૦૦થી વધુ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.

સંસ્થાના ચેરમેનશ્રી રાજેશભાઈ વાસવાનીએ જણાવ્યું હતુ કે, મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડીંગ્સમાં ઉપયોગી રૉ મટીરીયલ્સની સપ્લાય ચેઈન ખોરંભે પડતા અને તેમાં પણ અતિશય ભાવ વધી જતાં બાંધકામ વ્યવસાય ઉપર ગંભીર અસરો થવા પામી છે. આ પરિસ્થિતિમાં પ્રોજેકટ કોસ્ટમાં મોટો વધારો જોવા મળી રહેલ છે.

તેઓશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે, ઉપરોકત વધારા ઉપરાંત સમયસર પૂરતા પ્રમાણમાં રો મટીરીયલ ન મળતા બાંધકામ પ્રવૃત્તિ મંદ પડી જતાં લેબર્સને રોજગારીની તકોમાં ધરખમ ઘટાડો થવાના કારણે તેમજ અન્ય રાજયોમાં ઈલેકશન પૂરું થયા છતાં માઈગ્રેટેડ લેબર્સ પોતાના વતનમાંથી પરત આવ્યા ન હોવાથી મોટા પ્રમાણમાં લેબરની અછત પણ ઉભી થયેલ છે. આ પરિસ્થિતિમાં ચાલુ બાંધકામના પ્રોજેકટ્સ પૂર્ણ કરવામાં વધુ સમય જાય/વિલંબ થાય તેવી પરિસ્થિતિ સર્જાયેલ છે.

સામાન્ય રીતે જયારે પ્રોજેકટ અમલમાં આવે ત્યારે રેરાના નીતિ નિયમો મુજબ પઝેશન માટેની સમય મર્યાદા નકકી કરવામાં આવે છે અને તે સમયમાં પઝેશન આપવાનું થાય છે અને નિયત સમય મર્યાદામાં પઝેશન ન અપાય તો તેમાં પણ રેરાના નિયમો મુજબ દંડની જોગવાઈ છે. આમ જોતાં રીયલ એસ્ટેટ વ્યવસાયકારો માટે હાલમાં બધી જ બાજુ આર્થિક રીતે બોજો સહન કરવાની પરિસ્થિતિ ઉદ્ભવેલ છે.

સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી આલાપભાઈ એસ. પટેલે જણાવ્યું હતું કે, આ વિષમ પરિસ્થિતિનો ઉકેલ આવશે અને રીયલ એસ્ટેટ ઉપર આકસ્મિક ભારણો દુર થશે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી આવાસ ખરીદનારા ઈચ્છુક શહેરીજનો ઉપર નાહકનું ભારણ ન પડે તેવા શુભ આશયથી સંસ્થાના સભ્યશ્રીઓ અને અગ્રગણ્ય ડેવલપર્સ સાથે પરામર્શ કરી તા. ૩૦ જુન ૨૦૨૬ સુધીમાં ભાવ ન વધારવા અને ત્યારબાદ જ ભાવ વધારો કરવા તા.૧૫-૦૫-૨૦૨૬ના રોજ દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાત આપી પોતાના સ્વપ્નાઓનું ઘર વસાવી લેવા જાણ કરેલ, અન્યથા તા. ૩૦-૦૬-૨૦૨૬ પછી બાંધકામના રો મટીયલ્સના ભાવ વધારાને અનુલક્ષી કન્સ્ટ્રકશન કોસ્ટ વધી જવાથી મિલ્કતની કિંમતોમાં વધારો થશે. જનજાગૃતિ માટે સંસ્થાએ કરેલ અપીલને અનુલક્ષી ઘણા જાગૃત નાગરિકોએ પોતાની જરૂરીયાત મુજબ રેસીડેન્શીયલ/કોમર્શીયલ મિલ્કતની ખરીદી કરેલ હોવાનું પણ જાણવા મળેલ છે.

વધુમાં પ્રેસિડેન્ટશ્રીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વૈશ્વીક સંજોગોને ધ્યાને લેતા આ ભાવ વધારાની પરિસ્થિતિ ડેવલપર્સના નિયંત્રણ બહારની વાત છે અને જે રીતે ભાવોમાં વધારો થયો તે મુજબ હવે પ્રોપર્ટીના ભાવમાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. દેશના અન્ય મોટા શહેરોની સરખામણીમાં અમદાવાદ શહેરમાં આવાસની કિંમત ખૂબજ ઓછી હોય છે અને અમદાવાદ શહેરના ડેવલપર્સ ખૂબજ નજીવા માર્જીન સાથે કામ કરે છે તેથી હવે રૉ મટીરીયલ્સના વધેલા ભાવોને સહન કરી વ્યાપાર થઈ શકે તેમ નથી તેવું સંસ્થાના સભ્યશ્રીઓએ પ્રતિભાવ આપેલ છે.

બાંધકામ વ્યવસાયમાં સૌથી મોટી રોજગારીની તકો મળે છે અને જી.ડી.પી.માં ૭.૮%નો હિસ્સો છે. ટેક્ષ તથા વિવિધ પ્રકારની ફી થકી રાજય સરકારશ્રીને ખૂબજ મોટી આવક મળી રહે છે. આથી આ વ્યવસાયના વિકાસ અર્થે તેમાં રીલેકસેશન આપી પ્રજા ઉપર પડનાર ભારણને હળવું કરવાની અપેક્ષા વ્યકત કરીએ છીએ. રેરા એકટમાં “ફોર્સ મૅજર”ની જોગવાઈને ધ્યાને રાખી પ્રવર્તમાન યુધ્ધની પરિસ્થિતિ અને લેબરની અછતને પહોચી વળવા પ્રોજેકટ પૂર્ણ કરવાની સમય મર્યાદામાં વધારો કરી આપવા રેરા ઓથોરીટી તથા સરકારશ્રીમાં રજુઆતો કરેલ છે જેના સકારાત્મક પ્રતિભાવ માટે આશાસ્પદ છીએ.

બાંધકામમાં વપરાતા રૉ મટીરીયલ્સના ભાવમાં આશરે ૩૦% થી ૫૦% જેટલો ધરખમ ભાવ વધારો થયેલ છે અને હજુ પણ ભાવ વધારો ચાલુ છે તેના પરિણામે વ્યવસાયિક વિકાસ ઉપર ગંભીર અસરો થવા પામી છે પરંતુ નાગરિકોના હિતોને પણ ધ્યાને રાખીને મિલ્કત ખરીદનારાએ ઉપર એક સાથે ભારણ ન આવે તેવુ નાગરિકલક્ષી આયોજન કરવા અને ક્રમશઃ ભાવ વધારો કરવા ઉપર ભાર મુકતા પ્રમુખશ્રીએ હાલના તબક્કે દરેક ડેવલપરને  પોત પોતાના પ્રોજેક્ટના સ્ટેજના પ્રમાણે ૫ થી ૧૦ ટકા વધારો કરવા વિનંતી કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.