દર્દીના અંતિમ સંસ્કારમાં ભીડથી ૧૮ને કોરોનાનો ચેપ

મુંબઈ, કોરોનાથી બચાવ માટે હાથવગું હથિયાર સામાજિક અંતર છે. તેમાં થોડીઘણી ગફલત ચેપગ્રસ્ત બનાવી શકે છે. તેનું ઉદાહરણ મુંબઈના ઉલ્હાસનગરમાં જોવા મળ્યું છે. જ્યાં કોરોના ચેપગ્રસ્ત મહિલાનાં અંતિમ સંસ્કારમાં મોટીસંખ્યામાં ગયેલા લોકોમાંથી ૧૮ લોકો ચેપગ્રસ્ત નોંધાયા છે. આ તમામ મૃત્તક મહિલાનાં પરિવારજનો, સંબંધી અને મિત્રોનો સમાવેશ થાય છે. ઉલ્હાસનગરમાં એક જ માસના સમયગાળામાં આ પ્રકારનો બીજો કેસ સામે આવ્યો છે.
નિયમો મુજબ, અંતિમ સંસ્કારમાં પણ ૨૦થી વધુ લોકો આવી શકે નહીં. તે પાછળ સામાજિક અંતરના નિયમનું સારી રીતે પાલન થઈ શકે તે માટે જ નિયમ અમલી બનાવ્યો છે. ઉલ્હાસનગર પાલિકાના જણાવ્યા મુજબ ગત તા.૨૫મી મેએ મહિલાનું મોત નિપજ્યું હતું. આશંકાનાં તબીબે તેનો કોરોનાનો ટેસ્ટ કર્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. તે પહેલાં ગત ૫મીએ એક આધેડ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તે પણ કોરોનાનો શંકાસ્પદ દર્દી હતો.
તેનાં અંતિમ સંસ્કારમાં પણ મોટીસંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે પૈકી ૨૦ વધુ લોકો પાછળથી ચેપગ્રસ્ત નોંધાયા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મહિલાનાં મૃત્યુ બાદ સેન્ટ્રલ હોસ્પિટલમાં મૃત્તકના પરિવારજનોને તમામ નિયમોથી અવગત કરાયા હતા. તેમજ મૃત્તદેહને કોઈપણ રીતે અડવાની પણ મનાઈ ફરમાવી હતી. તેમજ જે બેગમાં શબને પેક કરવામાં આવ્યું હતું, તેને ખોલવાની પણ ના પાડી હતી. પરંતુ તે પછી આરોગ્ય વિભાગના લોકોએ જણાવ્યું કે અંતિમવિધિમાં ૭૦ લોકો હાજર રહ્યા હતા.