શાકભાજીના ધંધાની નજીવી અદાવતમાં પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો- પિતાનું મોત

Files Photo
કોસાડ આવાસમાં રહેતા પિતા પુત્ર જમવા બેઠા હતા ત્યારે જ હરીફ પરિવારે હુમલો કર્યો
સુરત, સુરતના અમરોલી- કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાલતમાં ચાર પિતા-પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાજુની બિલ્ડીંગમાં રહેતા ત્રણ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો હુમલામાં ૪પ વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજયું હતું. ઘટના બાદ હત્યારો હરીફ પરિવાર ભાગી છૂટયો હતો.
અમરોલી પોલીસ મથકના વર્તુળો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરોલી-કોસાડ આવાસમાં રહેતા શનિ અતુલ સોલંકી રાબેતા મુજબ ૬ વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયા હતા. રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભુપત ઓગણીયા અને તેના પિતા ભુપત ગગજી ઓગણીયા પણ શાકભાજીનો ધંધો કરે છે.
આ પિતા પુત્રએ શનિ અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડી ધમકી આપી હતી. જોધંધો કરવા તમે આવશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી ઝઘડો કર્યો હતો.
ઝઘડો થયા બાદ પતિ-પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાતે ઘરે ગયા હતા રાતે સાડા દસ વાગ્યાના અરસામાં શનિ તેના પિતા અતુલ, માતા ગીતાબેન, નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા. શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભુપત અને નાનાભાઈ અનિલ તથા દડુને તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી.
તુરંત ઘરના સભ્યોને જાણ કરી હતી. જમવા બેઠેલા ઘરના સભ્યો હજી કઈ સમજે તે પહેલાં તમામે ઘરની અંદર જ આવીને હિચકારો હુમલો કર્યો હતો. જેમાં પિતાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વાગતા આંતરડુ બહાર આવી ગયું હતું. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજયું હતું. જયારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જોકે આ ઘટના બાદ હુમલાખોર અલ્પેશ ઓગણીયાના પરિવાર ફરાર થઈ ગયો હતો.