AMA દ્રારા “માતૃભાષા, પુસ્તકો અને જીવન” વિષય પર પરિસંવાદ યોજાયો અને પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/AMA-1-1024x527.jpg)
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ૨૦૨૫ની આગોતરી ઉજવણી પ્રસંગે, એએમએ દ્રારા “માતૃભાષા, પુસ્તકો અને જીવન” વિષય પર એક અનોખા પરિસંવાદ યોજવામાં આવ્યો અને આ ઉપક્રમે બેસ્ટ સેલર બુક્સ અને એએમએ દ્રારા પ્રકાશિત પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરાયું.
AMA organized the Symposium on “Mother Language, Books, and Life” and launched the Book Fair
જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી ડૉ. રઘુવીર ચૌધરી (ગુજરાતી લેખક), પ્રો. સુનિલ હાંડા (આઈઆઈએમ અમદાવાદ ખાતે વિઝિટિંગ ફેકલ્ટી, એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્થાપક), પ્રો. ડૉ. ઇન્દિરા જે. પરીખ
અને ડૉ. સાવન ગોડિયાવાલા (એએમએના પ્રમુખ) દ્રારા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન અને પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રો. ડૉ. ઇન્દિરા જે. પરીખ (પ્રેસિડેન્ટ – અંતર્દિશા; ભૂતપૂર્વ ડીન – આઈઆઈએમ અમદાવાદ) અને શ્રીમતી કામ્યા પાહવા દ્રારા લખાયેલ પુસ્તક “સ્પેસીસ ઓફ લીડરશીપ: અ સેલ્ફ-રિફ્લેક્ટિવ મોડેલ”નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક સ્વ-ચિંતન અને ઓળખ પર આધારિત કાર્યક્ષેત્ર, સામાજિક અવકાશ અને જીવન ક્ષેત્ર પર રચાયેલ નેતૃત્વ મોડેલ પર આધારિત છે.
શ્રી વિનેશ અંતાણી (ગુજરાતી લેખક), શ્રી યોગેશ જોશી (ગુજરાતી કવિ અને લેખક), અને વિશ્વ પ્રવાસી શ્રીમતી પ્રીતિ સેનગુપ્તા (ગુજરાતી કવિ અને લેખક) એ પરિસંવાદને સંબોધિત કરતા માતૃભાષામાં શીખવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. માતૃભાષામાં પ્રકાશિત પુસ્તકમાંથી શીખનારને સરળતાથી સમજવામાં મદદ કરી શકે છે અને વાંચન અને શીખતી વખતે એક વિશેષ અનુભૂતિ આપે છે.
પુસ્તકો વ્યક્તિઓ અને સમાજની ટકાઉ સફળતા અને વિકાસ માટે જરૂરી છે. શ્રી ભીખેશ ભટ્ટ (પ્રકાશન મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ)એ વિષય પરિચય આપ્યો હતો અને ડૉ. મિતલ મકરંદ (‘એકાંત’, કવિ, મીડિયા પ્રોફેસર, આંતરરાષ્ટ્રીય મીડિયા નિષ્ણાત) દ્રારા પરિસંવાદનું સંચાલન કરવામાં આવ્યું હતું. પુસ્તક મેળો શનિવાર અને રવિવાર, ૧૫ અને ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.