ચીનમાં ભૂખમરાનું સંકટ- ઘઉં-ચોખાનો પુરતો પાક થયો હોવાનો સરકારી મીડિયાનો દાવો

Jonathan Bartlett illustration for Foreign Policy
ભારત સાથેના ઘર્ષણને આગળ ધરી ચીન દેશનો ભૂખમરો છૂપાવે છે
દેશના ભૂખમરાના સંકટથી ધ્યાન હટાવવા જિનપિંગના પ્રયાસ-૧૯૬૨માં ચીને ભારત સાથેના ઘર્ષણને આગળ ધરીને દેશની કંગાળ સ્થિતિ છૂપાવી હતી (China Food Crisis)
બેઇજિંગ, લદાખના પેંગોંગ વિસ્તારમાં ભારત સાથે ઘર્ષણમાં ઊતરેલું ચીન હાલમાં અન્ન્નના એક-એક દાણા માટે મોહતાજ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઓગસ્ટમાં ક્લીન યોર પ્લેટ અભિયાન શરૂ કર્યું ત્યારે જ આ વાતનો ખુલાસો થયો હતો. ખોરાકની તંગી સાથે સંઘર્ષ કરી રહેલું ચીન ભારતને મૂંઝવણમાં રાખીને કટ્ટરપંથી રાષ્ટ્રવાદનો આશરો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
એટલું જ નહીં, ચીને પણ એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા ૫ વખત દક્ષિણ ચાઇના સમુદ્રમાં લાઈવ ફાયર ડ્રીલ હાથ ધરી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી લોકોનું ધ્યાન ગરીબી અને ભૂખથી દૂર કરવા માટે દેશભક્તિ અને રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રીત કરવા પ્રયાસ કરી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે ચીન ભૂખમરાથી ધ્યાન હટાવવા ભારત સાથે સરહદ વિવાદને આગળ ધરી રહ્યું છે.
૧૯૬૨ માં પણ જ્યારે ચીનમાં ભયંકર દુકાળ પડ્યો હતો, ત્યારે પણ ચીનના સર્વોચ્ચ નેતા માઓ ત્સે તુંગે ભારત સાથે અસમાન યુદ્ધ કર્યું હતું. તે સમયે, ચીનમાં હજારો લોકો ભૂખમરાથી મરી ગયા. ગ્રેટ લીપ ફોરવર્ડ મૂવમેન્ટ પણ તત્કાલીન ચીનના શાસનની વિરુધ્ધ હતી. બરાબર એવું જ હાલમાં, ચાઇનીઝ વુલ્ફ વોરિયર તરીકે ઓળખાતા રાજદ્વારી-ચીની પીપલ્સ લિબરેશન આર્મી આ કરી રહી છે. કોરોનાને કારણે ચીનમાં ખાદ્ય સંકટ તીવ્ર બની રહ્યું છે. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફૂડ સિક્યુરિટી વધારવા માટે ૨૦૧૩ના ક્લીન યોર પ્લેટ અભિયાન ફરી શરૂ કર્યું છે.
પશ્ચિમી મીડિયા પણ માને છે કે ચીની વહીવટીતંત્ર આ યોજનાની આડમાં દેશમાં સર્જાયેલા ખાદ્ય સંકટને છુપાવી રહ્યું છે. ચાઇના હાલમાં દાયકાના સૌથી મોટા તીડ હુમલાથી ઘેરાયેલું છે. જેના કારણે દેશના દક્ષિણ ભાગમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે. તેમના નિયંત્રણ માટે ચીની સેના પણ પ્રચાર કરી રહી છે. બીજું, ભયંકર પૂરને કારણે ચીનમાં હજારો એકર પાકનો નાશ થયો છે. ચીનમાં મહત્તમ પાક ઉગાડતા વિસ્તારમાં પણ પૂરની અસર થઈ છે.
ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ચીનની અનાજની આયાતમાં ૨૨.૭ ટકા (૭૪.૫૧ મિલિયન ટન)નો વધારો થયો છે. ચીને ઘઉંની આયાતમાં દર વર્ષે ૧૯૭ ટકાનો વધારો જોયો છે. જુલાઈમાં મકાઈની આયાતમાં પણ પાછલા વર્ષ કરતા ૨૩ ટકાનો વધારો થયો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ચીનમાં અનાજનો પૂરતો જથ્થો છે તો તેણે તેની આયાત કેમ વધારવી પડી?
ચીનના કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, ૨૦૧૯ માં ચીનમાં કુલ અનાજનું ઉત્પાદન ૬૬૪ મિલિયન ટન થયું છે. તેમાં ૨૧૦ મિલિયન ટન ચોખા અને ૧૩૪ મિલિયન ટન ઘઉંનો સમાવેશ થાય છે. જો કે, સરકારી મીડિયા દાવો કરી રહ્યું છે કે દેશમાં ચોખાનો વપરાશ ૧૪૩ મિલિયન ટન છે અને ઘઉંનો વપરાશ ૧૨૫ મિલિયન ટન છે. તેથી, આપણે ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા નથી. સરકારી મીડિયાએ તો ઘોષણા પણ કરી દીધી છે કે આ વર્ષે ડાંગરનો વધુ પાક થયો છે, જ્યારે દેશનો ડાંગર ઉત્પાદન ક્ષેત્ર પૂરથી ઝઝૂમી રહ્યું છે. SSS