Western Times News

Gujarati News

કેવડિયા ટેન્ટસિટી ખાતે IT એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ

સામાન્ય માણસને નિષ્પક્ષ, સુલભ અને તત્કાલ ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ –સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ. આર. શાહ

કેવડિયા ટેન્ટસિટી ખાતે IT એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ

કેવડિયા ટેન્ટસિટી ખાતે આજે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના રાષ્ટ્રીય સંમેલન 2021નો પ્રારંભ કરવામાં આવ્યો. ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ શ્રી પી.પી.ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા સોવિનીર ઓફ આઇટીએટી અને શ્રુજન પત્રિકા લોકહિત માટે મંચસ્થ મહાનુભાવો દ્વારા લોકાર્પિત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ.આર.શાહે કાર્યક્રમમાં નિષ્પક્ષ, સુલભ અને તત્કાલ ન્યાય પર પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે સામાન્ય માણસને સમયસર ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ઈન્કમટેક્ષ એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ જસ્ટિસ શ્રી પી.પી.ભટ્ટે તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે જો આવી કોન્ફરન્સ સમયાંતરે થાય તો દેશના કોઈ પ્રશ્નો હોય તો તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકરણ પણ વહેલું આવી શકે છે. કાળા નાણાં બાબતે તેઓએ મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે છે. આથી કાળા નાણાંની અર્થતંત્ર પરની માઠી અસર નિવારવા માટે કડક પગલાં લેવા જોઈએ.

આયોજિત આ કાર્યક્રમમાં ઇન્કમટેક્ષ એપેલેટ ટ્રિબ્યુનલના હિતધારકોની અપેક્ષા શું છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટેક્ષ કાયદાનું વિસ્તરણ અને વિકાસ તેમજ જનરલ એન્ટી એવિડન્સ નિયમ વગેરે બાબતની ચર્ચા કરી ઉપસ્થિત જન સમુદાયમાં જાગરુકતા લાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં  કેન્દ્રીય કાયદા મંત્રાલયના સચિવ શ્રી એ.કે.મ્હેદીરાત્તાજી દ્વારા સેફટી પ્રોટોકોલ, ઈ-ફાઇલિંગ પોર્ટલ અને ડાયનેમિક અને એલાઈવ પોર્ટલોની લોક જાગૃતિ માટે ચર્ચા કરવામાં આવી હતી.

આ કોન્ફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે. દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ પાસે શું અપેક્ષા છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે. બીજો અત્યારનો મહત્વનો વિષય ઇન્ટરનૅશનલ ટેક્ષેશન પરનો છે. ઘણી વખત ડબલ ટેક્ષેશનની સમસ્યા આવતી હોય છે તેના પર શું નિરાકરણ આવી શકે વગેરે પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

જયારે ત્રીજા વિષય જનરલ એન્ટી એવિડન્સ નિયમ ઉપર પણ ચર્ચા કરવામાં આવી. કાળું નાણાં અર્થતંત્ર પર માઠી અસર કરે છે. કાળા નાણાંની બાબતે કેટલા કડક કાયદા જરૂરી છે તેના બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી સંજીવ ખન્ના, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા શ્રી તુષાર મહેતા તેમજ કેન્દ્રીય કાયદા મંત્રાલયના સચિવ શ્રી એ.કે.મ્હેદીરાત્તાજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટેક્ષ પ્રેક્ટિશનર, ચાર્ટર એકાઉન્ટન્ટ, ટેક્ષ કન્સલ્ટન્ટ, ધારાશાસ્ત્રીઓએ શ્રોતાગણ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

દેશભરમાંથી 200 જેટલા ટેક્ષ હિતધારકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે આ કોન્ફરન્સના સમાપન સમારંભમાં કેન્દ્રીય કાયદામંત્રી શ્રી રવિશંકર પ્રસાદ હાજર રહેશે અને આ સમાપન સમારંભમાં પોતાનું મંતવ્ય આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.