ગાંધીધામમાં ટ્રેક્ટર પલટી મારી જતાં ચાલક સહિત ત્રણ જણાના મોત નિપજ્યા

ભુજ: ભચાઉ તાલુકાના શિવલખા પાસે આવેલા સોલાર પ્લાન્ટ નજીક વળાંક ઉપર ટ્રેક્ટર પલટી મારી જતાં નીચે દબાયેલા ચાલક સહિત ત્રણ જણાના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા , તો ત્રણ જણા ઘાયલ થયા હતા.
મુળ ઉત્તરપ્રદેશના હાલે શિવલખા બેકબોન સોલાર પ્લાન્ટ ખાતે રહેતા લક્ષ્મીનારાયણ રામધાર નિસાદે લાકડિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત મોડી રાત્રે બનેલી આ જીવલેણ ઘટનામાં તેઓ, રાહુલ રવિશંકર નિસાદ, બબલુકુમાર ફાગુરામ, ફરિયાદીના ભાઇ વેજનાથ રામધાર નિસાદ, લવકુશ રાજારામ નિસાદ, રાજેશકુમાર સુરજબલી નિસાદ, અર્જુન દશરથ નિસાદ, રાકેશકુમાર વિજયશંકર નિસાદ સોલાર પ્લાન્ટની પ્લેટો સફાઇ કરવાનું કામ કરી ટ્રેક્ટર ટેન્કર લઇને મોડી રાત્રે રૂમ તરફ જઇ રહ્યા હતા
ત્યારે વણાક ઉપર જ ટ્રેક્ટર ચાલક રાહુલ રવિશંકર નિસાદે કાબુ ગુમાવતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેમાં ટેન્કર નીચે દબાતાં તેમના ૧૯ વર્ષીય ભાઇ વેજનાથ રામધાર નિસાદ, ૨૦ વર્ષીય ટ્રેક્ટર ચાલક રાહુલ અને ૧૯ વર્ષીય બબલુકુમાર ફાગુરામ કુમારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, તો લવકુશ, રાજેશકુમારઅર્જુનદાસને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.
ફરિયાદી લક્ષ્મીનારાયણ અને રાકેશકુમાર કૂદી ગયા હોવાને કારણે બન્નેને ઇજા પહોંચી ન હોવાનું તેમણે જણાવ્યું છે. તેમની ફરિયાદના આધારે લાકડિયા પોલીસે મૃત ટ્રેક્ટર ચાલક રાહુલ રવિશંકર નિસાદ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને લાકડિયા ખાતે પ્રાથમીક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયા છે