પુરવઠા વિભાગની ફ્લાઈંગ સ્કવોડ શોભાના ગાંઠિયા સમાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/Anaj-1024x683.jpg)
અમદાવાદ, પોલીસ તેમના બાતમીદારોને કહે છે કે દારૂ-જુગારના અડ્ડાની નહીં, પરંતુ અમારા વિસ્તારમાં ચાલતા અનાજનાં કાળા બજારની માહિતી આપો. આપણે કેસકરી દઈશું. પોલીસને હવે દારૂ-જુગારના અડ્ડા પર કેસ કરવા કરતાં અનાજનાં કાળાં બજારને પકડવામાં ધવારે મજા પડીગઈ હોય તેવું સીધી રીતે લાગી રહ્યું છે,
કારણ કે અનાજ માફિયાઓને પકડવા માટે જ્યારે અમદાવાદનો પુરવઠા વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે પોલીસે તેમના વિરૂધ્ધ લાલ આંખ કરી છે. ખરેખર જાેવા જઈએ તો અનાજનું કૌભાંડ પકડવાની પહેલી જવાબદારી પુરવઠા વિભાગની છે, પરંતુ તેની સાચી કામગીરી પોલીસ નિભાવી રહી છે.
કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારે મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરતાંની સાથે જ કાળા બજારિયાઓ મોજમાં આવી ગયા છે. રેશનિંગના અનાજના કાળાં બજારને રોકવા માટે પુરવઠા વિભાગ અને પોલીસ ઠેર ઠેર વોચમાં છે. ત્યારે કાળા બજારને રોકવા માટે પોલીસ બાજી મારી જાય છે.
થોડાક દિવસ પહેલાં સરકારી અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં રાણીપ પોલીસે કૌભાંઢ પકડી પાડીને પલટી કિંગ મૂકેશ મહારાજને ઝડપી પાડ્યો હતો.
મહત્વની વાત એ છે કે પુરવઠા વિભાગની ફ્લાઈંગ સ્કવોડ છે. જેને અનાજનાં કાળા બજારને રોકવા માટે પૂરેપૂરી સત્તા આપવામાં આવીછે. ફ્લાઈંગ સ્કવોડને જે કામ કરવાનું હોય તે કામ પોલીસ કરી રહી છે. અનાજનાં કાળાં બજારને રોકવા માટે પોલીસે લાલ આંખ કરી છે,
જ્યારે પુરવઠા વિભાગ ચૂપ કેમ છે, જ્યારે પોલીસ કામગીરી કરે ત્યારે પુરવઠા વિભાગ તૈયાર ભાણું મળે તે રીતે હાજર થઈ જાય છે અને દેખાવ પૂરતી કામગીરી કરીને જતો રહેછે. લોકો તેમજ ઉચ્ચ અધીકારીઓના આક્ષેપ છે કે પુરવઠા વિભાગના અધીકારીઓને મોટો હપ્તો મળતો હોવાથી તે કામગીરી કરતા નથી.
વર્ષમાં માત્ર એક જ કામગીરી પુરવઠાની, તેમાં પણ ભીનું સંકેલાયું
નાના ચિલોડા ખાતે ગત વર્ષે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે અનાજના કાળાં બજારનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું, જ્યારે નરોડા પોલીસે દિવાળી બાદ અનાજનાં કાળાં બજારનું ગોડાઉન ઝડપ્યું હતું. આ સિવાય ઓઢવ પોલીસે પલટીવાળું અનાજ પકડ્યું હતું. થોડાક મહિના પહેલાં દાણીલીમડા પોલીસે અનાજના જથ્થા સાથે ડ્રાઈવર અને માલ ખરીદનારની ધરપકડ કરી હતી.
દરિયાપુર પોલીસે પણ થોડાક દિવસ પહેલાં અનાજનાં જથ્થાની પલટીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું, ત્યારે રાણીપ પોલીસે તાજેતરમાં કેસ કર્યો છે. એક વર્ષ દરમિયાન માત્ર ઘાટલોડિયા મિર્ચી મેદાન પાસે પુરવઠા વિભાગે પલટીવાળા અનાજના જથ્થાને ઝડપ્યો હતો તેમાં પણ કેસ રફેદફે થઈ ગયો છે. આ જાેતાં એવું લાગી રહ્યું છે કે પુરવઠાની કામગીરી પોલીસ કરતી હોય તો પુરવઠા વિભાગને તાળા મારી દેવાં જાેઈએ.
પોલીસે અનાજનો જથ્થો પકડીને કેસ પુરવઠા વિભાગને સોંપી દેવો જાેઈએ ઃ રાજકોટના કલેક્ટરે એવો હુકમ જાહેર કર્યો હતો કે પોલીસ જાે અનાજનાં કાળાં બજાર પકડીપાડે તો કોઈ પણ કાર્યવાહી કરવાની જગ્યાએ આ કેસ પુરવઠાને સોંપી દેવો.
અમદાવાદ પોલીસ જ્યારે અનાજનો જથ્થો ઝડપી પાડે છે ત્યારે પોલીસ કેસ પુરવઠા વિભાગને સોંપતી નથી, જેનો ફાયદો અનાજ માફિયા ઉઠાવી રહ્યાં છે.
અનાજ કૌભાંડમાં પોલીસને મલાઈ દેખાય છે ઃ દારૂ જુગારના કેસ કરવાથી પોલીસને જેટલી નીચેની આવક નથી મળતી તેટલી આવક અનાજના કેસ કરવામાં મળે છે. અનાજનો જથ્થો પકડવાની સત્તા પીઆઈથી નીચેની કક્ષાના અધિકારીને નથીતેમ છતાંય પોલીસ કર્મચારીઓ જ્યાં-ત્યાં અનાજના ટેમ્પાને રોકીને તોડપાણી કરે છે.
તાજેતરમાં એક પોલીસ કર્મચારીએ ટેમ્પાને રોકીને ૩૦ હજાર રૂપિયાનો તોડ કર્યો, જ્યારે ગત વર્ષે શહેરના ભરચક વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ બે લાખ રૂપિયાથી વધુનો તોડ કર્યો હતો. આ સિવાય પોલીસ માલ પકડીને અટકાયત કરે ત્યારે રૂપિયા ખંખેરે તે અલગથી હોય છે.