નિયમોનું પાલન નહીં કરો તો નવો વેરિયન્ટ કોહરામ મચાવશે
        અમદાવાદ: મહામારીના નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જાે કોરોનાના નિયમોનું પાલન કરવામાં ઢીલ કરવામાં આવશે અથવા તેની અવગણના કરવામાં આવશે તો કોરોનાનો નવો વેરિયન્ટ શહેર માટે જાેખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ અને મે મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં કોહરામ મચી ગયો હતો. જાે કોરોનાના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો નવો વેરિયન્ટ બીજી લહેર કરતા વધારે તારાજી સર્જી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા પાંચમા સીરો સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આખા શહેરની હર્ડ ઈમ્યુનિટીનો અંદાજાે લગાવવા માટે ૫૦૦૦ લોકોના નમૂના અપૂરતા છે.
પ્રથમ સીરો સર્વેમાં ૨૩,૦૦૦ નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બીજા સર્વેમાં ૧૭,૦૦૦ નમૂના લેવામાં આવ્યા જ્યારે ત્રીજા અને ચોથા સર્વેમાં લગભગ ૧૦,૦૦૦ નમૂના લેવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી જણાવે છે કે, હર્ડ ઈમ્યુનિટી પર ટિપ્પણી કરવી મુશ્કેલ છે. અમે જાેયું છે કે સંક્રમિત થયેલા લોકોમાંથી એન્ટીબોડી દૂર થઈ રહી છે. અમને આશા છે કે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા ૭૫ ટકા અમદાવાદીઓએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો હોય. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રસીકરણ મોટા પ્રમાણમાં કરવામાં આવશે તો ત્રીજી લહેરને નિયંત્રણમાં લાવી શકાશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો.
તહેવારના ૨૦ દિવસ પહેલા એટલે કે ૨૮મી ઓક્ટોબર અને ૧૬મી નવેમ્બર દરમિયાન શહેરમાં કોરોનાના ૩૭૦૦ કેસ નોંધાયા હતા અને ૪૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ ૧૭મી નવેમ્બર અને ૬ ડિસેમ્બર દરમિયાન કેસની સંખ્યામાં ૭૧ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન ૬૪૦૦ કેસ નોંધાયા હતા અને ૧૭૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં જાેવા મળ્યા હતા, અને ત્યાં એન્ટીબોડીમાં પણ સુધારો જાેવા મળ્યો હતો.
ઓક્ટોબર મહિના દરમિયાન પશ્ચિમ વિસ્તારોમાં ૧૯ ટકા એન્ટીબોડી નોંધાઈ હતી, જે વધીને ૨૫ ટકા થઈ છે. જાે ઉત્તરપશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ વિસ્તારોની વાત કરીએ તો, અહીં ૨૮ ટકા અને ૨૯ ટકા એન્ટીબોડી નોંધાઈ હતી. એએમસીના અધિકારી જણાવે છે કે, ગયા વર્ષે અમને જાણીને નવાઈ લાગી હતી કે જુલાઈ અને ઓગષ્ટમાં જે લોકોમાં એન્ટીબોડી જાેવા મળી હતી તે લોકોએ ઓક્ટોબર સુધીમાં ઈમ્યુનિટી ગુમાવી દીધી હતી.
