Western Times News

Gujarati News

૧૭૦ કરોડના ખર્ચે બનેલો 2.36 કીમી લાંબો આ એલિવેટેડ કોરિડોર SG હાઈવે પર ખુલ્લો મુકાયો

પ્રતિકાત્મક

રાજ્યના નાગરિકોને વાહન યાતાયાત સરળતા ની દીપાવલી ભેટ- સરખેજ -ગાંધીનગર ચિલોડા નેશનલ હાઈ વે ના 44 કી.મી લાંબા માર્ગ  પર વધુ એક ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે

ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને ઝડપી અને સરળ પરીવહનની સુવિધા ઉપલબ્ધ થશે

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.

રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨.૩૬ કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ -જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.

થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી ૧.૪૮ કી.મી. લાંબો ફ્લાયઓવર તા.૨૭/૦૬/૨૦૨૧થી કાર્યરત છે, હવે તૈયાર થયેલા ૨.૩૬૦ કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ ૪.૧૮ કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે.

આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા  મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૪૭ના ૪૪ કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. ૯૧૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું  રાજ્ય સરકારનું આયોજન છે.

જે અંતર્ગત નિર્માણ કરવાના થતા ૧૩ ફ્લાયઓવરમાંથી ૭ ફ્લાયઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના ૫ ફ્લાય ઓવર નિર્માણાધિન છે.

આ અવસરે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભા મોદી તેમજ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,મેયરશ્રી કિરીટભાઇ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગરના ધારાસભ્યો,પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ,અમદાવાદ શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગના અધિકારીઓ અને નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.