સોમનાથ મંદિરે એક વર્ષ દરમ્યાન ૫૨.૬૮ લાખ દર્શનાર્થીઓએ દર્શન કર્યા
સોમનાથ, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભક્તો શ્રધ્ધા પુર્વક મહાદેવના સાનિધ્યે દર્શન – પૂજા કરી ધન્ય થતા હોય છે.
કોવિંડ-૧૯ મહામારી ને કારણે સરકારશ્રીની ગાઇડલાઇન્સ મુજબ શ્રી સોમનાથ મંદિર વર્ષ-૨૦૨૧ માં એપ્રીલ થી જુન દરમ્યાન (૧૧ એપ્રીલ થી ૧૦ જુન) ૬૦ દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ હતું. દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી શકે સાથે, પુજા-જાપ નોંધાવી ઓનલાઇન સંકલ્પ કરી શકે તેવી ડિઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેનો લાભ ભક્તોએ બહોળી સંખ્યામાં લીધો.
વર્ષ દરમ્યાન સોમનાથ ખાતે યાત્રીસુવિધાના પ્રોજેક્ટ ૧. પ્રોમોનેડ-સમુદ્ર દર્શન પથ, ૨.સોમનાથ મ્યુઝીયમ, ૩.શ્રી અહલ્યાબાઇ દ્વારા નિર્મિત જુના સોમનાથ મંદિર પરીસર જીર્ણોધ્ધાર, સહિતના પ્રોજેક્ટ દેશના વડાપ્રધાન અને ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે વર્ચુઅલ રીતે લોકાર્પણ કરવામાં આવેલ જેનો લાભ બહોળી સંખ્યામાં યાત્રીકો લઇ રહ્યા છે. શ્રી ધામેલીયા પરીવારના સહયોગથી નિર્માણ થનાર નુતન પાર્વતિ મંદિરનુ ભૂમિપૂજન અને શીલાપૂજન કરવામાં આવેલ હતું. સોમનાથ આવતા યાત્રીકો નિઃશુલ્ક ભોજન લઇ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવેલ હતો. ગીર સોમનાથ જીલ્લો દેશભરમાં રોલ મોડલ તરીકે સ્થાપીત થાય તેવા શુભાશય થી જીલ્લામાં ૧૧ લાખ વૃક્ષારોપણનો મહાસંકલ્પ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ છે. જેમાં વિવિધ સામાજીક સંસ્થાઓ, માધવ સ્મારક સમીતી, જીલ્લા વહિવટી તંત્ર સહિતનો સહયોગ સાંપડેલ હતો.
વર્ષ-૨૦૨૧ દરમ્યાન કુલ ૫૨.૬૮ લાખ શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. જેમાં જાન્યુઆરી-૨૧ માં ૪.૩૭ લાખ, ફેબ્રુઆરી-૨૧ માં ૪.૭૭ લાખ, માર્ચ-૨૧ માં ૫.૩૪ લાખ, એપ્રીલ-૨૧ માં ૮૦ હજાર (૧૧ એપ્રીલ થી ૧૦ જુન મંદિર ૬૦ દિવસ દર્શનાર્થી માટે બંધ રહેલ), જુન-૨૧ માં ૧.૪૩ લાખ, જુલાઇ-૨૧ માં ૩.૯૭ લાખ, ઓગષ્ટ-૨૧ માં ૭.૮૯ લાખ, સપ્ટેમ્બર-૨૧ માં ૭.૦૩ લાખ, ઓક્ટોબર-૨૧ માં ૪.૬૪ લાખ, નવેમ્બર-૨૧ માં ૮.૦૮ લાખ, ડિસેમ્બર-૨૧ માં ૪.૩૨ લાખ મળી ૫૨.૬૮ લાખ દર્શનાર્થીઓએ પ્રત્યક્ષ સોમનાથ તીર્થધામની મુલાકાત લીધેલી હતી.
વર્ષ-૨૦૨૧ દરમ્યાન સોશ્યલ મીડીયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા દેશ-વિદેશના કુલ ૭૭.૭૯ કરોડ લોકો સોમનાથ મહાદેવના દર્શન નો લ્હાવો લીધેલ હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોવિંડ-૧૯ દરમ્યાન બે તબક્કામાં કુલ ૪.૯૪ કરોડ ના ખર્ચે મુખ્યમંત્રી રાહત ફંડ સહાય, લીલાવતી કોવિડ કેર-આઇસોલેશન સેન્ટર, ફુડ પેકેટો-રાશન કીટો -માસ્ક વિતરણ- સોમનાથ તીર્થધામમાં ફસાયેલ યાત્રીઓની આવાસ-ભોજન વ્યવસ્થા- ટીશર્ટ-કેપ વિતરણ, ઓક્સીજન પ્લાન્ટ નંગ-૦૨, મેડીકલ કીટ વિતરણ, નિઃશુલ્ક ટીફીન સેવા,કલા પ્રતિષ્ઠાન સુરત કલાકારો ને સહાય વિગેરે સેવાઓ કરી હતી, તેમજ તૌકતે વાવાઝોડા દરમ્યાન ટ્રસ્ટ દ્વારા યુવા અનસ્ટોપેબવ ગૃપ, સેવા ભારતી, શ્રોફ ફાઉન્ડેશન, ગાયત્રી મંદિર, સ્વામીનારાયણ સંપ્રદાય તથા દાતાશ્રીઓ અને સંસ્થાઓના સહયોગથી અસરગ્રસ્ત એવા અમરેલી તથા ગીર સોમનાથ જીલ્લાના રાજુલા,મહુવા, ઉના, ગીર ગઢડા સહિતના તાલુકાઓમાં ટ્રસ્ટ દ્વારા ફુડ પેકેટ, ૨૦,૦૦૦ પતરાં, પીવાના પાણીના બેરલ, પાણીના ટાંકાઓ, મોભીયા, નળીયા, તાળપત્રી, કપડા-નાસ્તો, રાશન કીટો વિતરણ વિગેરે ની કામગીરી ૧.૪૧ કરોડના ખર્ચે કરવામાં આવેલ હતી.