ગામડાઓમાં લીટર પેટ્રોલનો ભાવ રૂા. ૧રપઃ પરવાના વગર પેટ્રોલ વેચવાનો ધિકતો ધંધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/petrol-4.jpg)
પ્રતિકાત્મક
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પરવાના વગર પેટ્રોલ વેચવાનો ધિકતો ધંધોઃ વાહનચાલકોની ઉઘાડી લૂંટ
બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પેટ્રોલમાં ભાવ વધારા બાદ વાહન ચાલકો ભારે પરેશાન બની રહયા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પરવાના વગર પેટ્રોલ વેચવાના ચાલતા ધિકતા ધંધામાં પણ ભાવો વધારી દેવાતાં ગ્રામ્ય વિસ્તારોના વાહન ચાલકો લુંટાઈ રહયા છે.
જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોના પાનના ગલ્લાથી માંડી કટલરીની દુકાનોમાં પણ છૂટથી પેટ્રોલ વેચાઈ રહયું છે. અને મરજી મુજબ ભાવ વસુલાત હોય તેમ લીટર પેટ્રોલના ભાવ ૧રપ સુધી વસુલાતાં વાહન ચાલકોમાં ભારે આક્રોશ ઉભરી આવ્યો છે.
જીલ્લામાં પુરવઠા તંત્રની નિષ્ક્રિયતાથી કેરોસીનના કાળા બજારને ઉત્તેજન મળ્યું છે. જયારે મુસાફરો ભરીને દોડતાં વાહનોમાં ડીઝલલના બદલે કેરોસીનનો મહત્તમ ઉપયોગ થતો હોવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતાં નથી જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પુરવઠા તંત્રએ છૂટક પેટ્રોલ-ડીઝલ વેચવાનો ધિકતો ધંધો શરૂ થયો છે.
જીલ્લામાં મોટા ભાગના પેટ્રોલપંપ હાઈવે માર્ગો અને તાલુકા મથકોએ આવેલા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો વાહનચાલકોને પેટ્રોલ ભરાવવા માટે અંદાજીત ૮થી૧પ કિ.મી. સુધી લાંબુ થવું પડતું હોય છે. જયારે કેટલાક વિસ્તારોમાં ૧૦ થી ૧ર કિ.મી.ના અંતરે પણ પેટ્રોલપંપ ન હોવાથી વાહન ચાલકોની દુખતી નસ કેટલાક લોકોના ધ્યાન પર આવી ગયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં છુટક પેટ્રોલનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પાનના ગલ્લાથી માંડી કટલરીની દુકાનોમાં પણ પેટ્રોલના કેરબે. કેરબા સલામતીની પરવા કર્યા વિના ભરી રાખવામાં આવે છે. અને ગરજવાન વાહનચાલક પેટ્રોલ પુરાવવા માટે આવે ત્યારે લીટર પેટ્રોલના ભાવરૂા.૧રપ થી માંડીી ૧૩પ સુધી ખંખેરવામાં આવતો હોય છે પરંતુ પરવાના વગર ગામડાંમાં વેચાતું પેટ્રોલ અત્યંત મોઘુ બની જતાં વાહન ચાલકો પરેશાન બની રહયા છે.
સામાન્ય રીતે કોઈપણ ધંધામાં પરમીશન માંગવી જરૂરી છે. પરંતુ પુરવઠા વિભાગે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ વેચવાના જાણે કે કેટલાક લોકોને પોઈન્ટ આપી દીધા હોય તેમ પેટ્રોલ વેચી વાહનચાલકો સાથે ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે.
જયારે સલામતીની કોઈ ચિંતા કર્યા વગર પેટ્રોલ ભરેલા કેરબા દુકાનોમાં જ રાખવામાં આવતા હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવવાની પણ ભીતી સેવાઈ રહી છે. ત્યારે તંત્ર પરવાના વગર પેટ્રોલ વેચી વાહનચાલકોનાં ખીસ્સાં ખંખેરતા લેભાગુઓને જબ્બે કરે તે જરૂરી છે.