દિલ્હીમાં મોતનું તાંડવઃ એક એક કરીને ૨૭ મૃતદેહ નીકળ્યા

નવીદિલ્હી, દિલ્હી માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. સાંજે દિલ્હીના મુંડકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. છેલ્લી મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૭ લોકોના મોત થયા છે, જ્યારે ૩૦ થી ૪૦ લોકો ફસાયા હોવાની આશંકા હતી. પરંતુ તમામ લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર ફાયટરો ઘટના સ્થળે હાજર છે. આ સાથે મોડી રાત્રે ફરી એકવાર આગ ભભૂકી ઉઠી છે. જેના કારણે ગભરાટ ફેલાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ માળની સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.મુંડકામાં જ્યાં આગ લાગી હતી તે ફેક્ટરીના માલિક વરુણ ગોયલ અને સતીશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે.
તેમની સામે બેદરકારીથી મૃત્યુ અને ઇરાદાપૂર્વક હત્યા કરવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૨ લોકો દાઝી જવાથી ઘાયલ થવાના અહેવાલ મળ્યા છે. ઘાયલોમાં સતીશ (૩૮), પ્રદીપ (૩૬), આશુ (૨૨), સંધ્યા (૨૨), ધનવતી (૨૧), બિમલા (૪૩), હરજીત (૨૩), આયશા (૨૪), નીતિન (૨૪), મમતા (૫૨), અવિનાશ (૨૯), મેલ (અજ્ઞાત)નું નામ સામે આવ્યું છે.
આ દુર્ઘટનામાં અમુક મૃતદેહો સળગી ગયા છે જેણી ઓળખ કરવી મુશ્કેલ થઈ પડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટ બાદ અમુક મૃતકોની ઓળખ થઈ શકશે. જ્યારે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બિલ્ડિંગમાં કામ કરનાર અનેક લોકો હજુ ગુમ છે, જેમણી શોધમાં તેમના પરિવારજનો હોસ્પિટલોમાં ભટકી રહ્યા છે.
બીજી તરફ દિલ્હીના ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગે જણાવ્યું છે કે અમારે લોકોનો જીવ બચાવવાનો છે, અમે અહીં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બિલ્ડિંગમાં સામાન હતો. તેમાં લોકો દબાઈ ગયા છે. અમે આગ ઓલવવા માટે ૧૦૦ લોકો કોશિશ કરી રહ્યા છીએ. અમે ત્રણ માળની બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં રોકાયેલા છીએ.
જણાવી દઈએ કે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ૨૭ ગાડીઓ હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ૬ કલાકથી સળગી રહી છે. અહીં એનડીઆરએફ અને આરઆરસીની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરાનું ગોદામ હતો. જ્યારે, અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આગની ગરમી ખૂબ જ વધુ હતી, જેના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી.HS