આ જિલ્લાના ૫૦ હજારથી વધુ લોકોએ ‘‘મતદાન અચૂક કરવા’’ માટેના શપથ લીધા
(માહિતી) આણંદ, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ આણંદ જિલ્લાની ૭ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે જિલ્લાના મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીના માર્ગદર્શન નીચે આણંદના અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતકી વ્યાસ
અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ નોડલ અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા મતદાર જાગૃતિ અર્થે જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે “અવસર” અંતર્ગત જાહેર સ્થળોએ કે જ્યાં લોકોની અવરજવર વધુ હોય તેવા જાહેર સ્થળોએ લોકોને અચૂક મતદાન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
સ્વીપ અંતર્ગત હાથ ધરવામાં આવેલ આ ‘‘અવસર’’ અન્વયે જિલ્લાના રેસ્ટોરન્ટ, ટી સ્ટોલ, વિવિધ મોલ્સ સહિતના વિવિધ જાહેર સ્થળો-વિસ્તારોમાં જઈને ત્યાં ઉપસ્થિત લોકોને આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં યોજાનાર મતદાનના દિવસે મતદાન કરી તેમની ફરજ અચૂક બજાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ ઉપરાંત અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞાની પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહયાં છે. જે અન્વયે આજ દિન સુધીમાં અંદાજીત ૫૦,૦૦૦ કરતાં વધારે વ્યક્તિઓએ મતદાન અચૂક કરવા માટેના શપથ લીધા છે.