Western Times News

Gujarati News

ગિફટ સિટી ગાંધીનગરમાં યોજાઇ કોન્કલેવ ઓફ સિટી લીડર્સ

સ્ટેટ ગર્વનમેન્ટ અને લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ બેય એક થઇને જે વિકાસ કામો કરે છે તેના મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ નાંખેલો વિકાસનો અને નાણાંકીય વ્યવસ્થાપનનો મજબૂત પાયો છે:-મુખ્યમંત્રીશ્રી

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ-‘અ’ વર્ગની રર નગરપાલિકાઓના મેયર-પ્રમુખ-સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરો-ચીફ ઓફિસરશ્રીઓ સાથે મુખ્યમંત્રીશ્રીનો પરિસંવાદ

ગુજરાતના નગરો-મહાનગરોમાં નાણાંના અભાવે કોઇ વિકાસ કામ અટકતાં નથી.- નગરો-મહાનગરો આવકના સ્ત્રોત ઊભા કરવા સાથે લોકોના પૈસાનું પૂરેપૂરું વળતર વિકાસ કામોથી આપે.

G-20 ની ૧પ બેઠકો ગુજરાતમાં યોજાય તેમાં અર્બન-20 U-20 દ્વારા ગુજરાતનો શહેરી વિકાસ-વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ વિશ્વના દેશો સમક્ષ ઊજાગર કરાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના નગરો-મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસનો અને નાણાંકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે તેના પરિણામે સ્ટેટ ગર્વનમેન્ટ અને લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે. એટલું જ નહિ, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઇ કામ નાણાંના અભાવે અટકતું પણ નથી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓના મેયર, પ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તેમજ કમિશનરશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને રિજીયનલ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે ગાંધીનગરમાં ગિફટ સિટીમાં આયોજિત કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં પ્રેરણાદાયી સંબોધન કર્યુ હતું.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓને શહેરી જનસુખાકારી, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત મિશન, અમૃત 2.0, એફોર્ડેબલ હાઉસીંગ તેમજ નાણાંકીય વ્યવસ્થાપન અંગે રાજ્ય સરકારની અમલી યોજનાઓ, પહેલરૂપ બાબતો તેમજ ભવિષ્યના કાર્ય આયોજનના વિસ્તૃત પ્રેઝન્ટેશન આ કોન્કલેવમાં કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરિસંવાદની ચર્ચા-પરામર્શ સત્રમાં સહભાગી થતાં કહ્યું કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પોતાની આવકના સ્ત્રોત ઊભા કરવા સાથે લોકોના પૈસાનું પુરેપુરૂં વળતર વિકાસ કામોથી આપે.

ગુજરાત સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનના પરિણામે નીતિ આયોગના ઇન્ડેક્ષમાં અગ્રેસર છે તેનું ગૌરવ કરતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં આ સ્થિતી ગુજરાતમાં ઊભી થઇ છે. લોકોએ વિકાસના કામો અને નાણાંકીય વ્યવસ્થાપનની સંગીન સ્થિતીને કારણે જ આટલો અપાર વિશ્વાસ પ્રચંડ જનસમર્થનથી આપણામાં મુકયો છે ત્યારે હવે આપણે બેવડી જવાબદારીથી કામ કરવાનું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, G-20 ની ૧પ બેઠકોનું યજમાન ગુજરાત બનવાનું છે તેમાં અર્બન-20 ની બેઠકો દ્વારા આપણે ગુજરાતનો શહેરી વિકાસ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ, વિશ્વના દેશો સમક્ષ ઊજાગર કરી શકીશું.

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ અમૃતકાળમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની જે સંકલ્પના આપી છે તેને સાકાર કરવામાં વિકસીત ગુજરાતના નિર્માણથી ગુજરાત લીડ લે તેવું આહવાન પરિસંવાદમાં ઉપસ્થિત સૌને કર્યુ હતું.

આ એક દિવસીય પરિસંવાદના પ્રારંભે શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે કોન્કલેવના આયોજનનો હેતુ વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા સમજાવ્યો હતો.

શહેરી ગૃહ નિર્માણ સચિવ શ્રી રાકેશ શંકર, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલે પણ પોતાના કાર્યક્ષેત્રની ગતિવિધિઓનું વિવરણ પ્રેઝન્ટેશન મારફત કર્યુ હતું. સ્વચ્છ ભારત મિશન (શહેરી)ના ડીરેકટર શ્રી પ્રજાપતિ એ સૌનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.