Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રામ મંદિર પર મંડરાઈ રહ્યુ છે, આતંકવાદી હુમલાનું ષડયંત્ર

terror attack input on ayodhya ram temple

ગુપ્તચર એજન્સીઓને રામ મંદિર પર આતંકવાદી હુમલાના ઈનપુટ મળ્યા છે મંદિરની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી

(એજન્સી)નવી દિલ્હી, દેશની ગુપ્તચર એજન્સીઓએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરને લઈને મોટું એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર એજન્સીઓને રામ મંદિર પર આતંકવાદી હુમલાના ઈનપુટ મળ્યા છે. એવી શક્યતા છે કે પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સાગરિતો અહીં આત્મઘાતી હુમલો કરી શકે છે.

આતંકવાદીઓ નેપાળ દ્વારા ભારતમાં પ્રવેશ કરશે અને શ્રી રામ મંદિર પર હુમલો કરવાનો પ્રયાસ કરશે. અયોધ્યા પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ મુજબ આતંકવાદી સંગઠનો નેપાળ મારફતે ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે.

એજન્સીએ આતંકીઓ વચ્ચેની વાતચીતને ટેપ કરી છે. આતંકવાદીઓ આગામી થોડા દિવસોમાં શ્રી રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ હુમલો આત્મઘાતી હુમલાના રૂપમાં હોઈ શકે છે. આ ઘટનાને અંજામ આપવા માટે આતંકવાદીઓના એક જૂથને નેપાળના રસ્તે ભારતમાં પ્રવેશ કરશે અને ગોરખપુર થઈને અયોધ્યા પહોંચશે.

નિર્માણાધીન શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય ૫૦ ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આવતા વર્ષે મકર સંક્રાંતિના દિવસે આ મંદિરમાં રામલલા બિરાજશે અને ત્યારબાદ મંદિરને રામ ભક્તો માટે ખોલવામાં આવશે. કેન્દ્રીય સુરક્ષા દળોના ઘેરા હેઠળ નિર્માણાધીન મંદિર પરિસરમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

કડક સુરક્ષા પહેલેથી જ છે, આમ છતાં ઉત્તર પ્રદેશ પોલીસ વધુ સતર્ક બની છે. બીજી તરફ શ્રી રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર નાથ દાસે કહ્યું કે રામ મંદિર આકાર લેવાનું શરૂ થઈ ગયું છે. મંદિરનો લગભગ ૫૦ ટકા ભાગ તૈયાર છે. કટ્ટરવાદીઓ અને હિંદુ વિરોધી શક્તિઓએ આ પહેલા પણ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે સમયે તમામ માર્યા ગયા હતા. આ વખતે પણ એવું જ થશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers