Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કિન્નરો સુરત જિલ્લા કલેકટર કચેરી બિલ્ડર વિરૂધ્ધ આવેદન આપવા પહોંચ્યા

રામરાજ્ય સોસાયટીમાં COPની જગ્યામાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાતું હોવાની રજૂઆત કરાઈ-સુરતમાં ગેરકાયદેસર બાંધકામને લઈને કિન્નરોનો ભારે હોબાળો

સુરત, સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી રામરાજ્ય સોસાયટીમાં COPની જગ્યામાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાતું હોવાની રજૂઆતને લઈને કિન્નરો સુરત જિલ્લા કલેકટર કચેરી પર આવેદન આપવામાં પહોંચ્યા હતા.

કિન્નરોની રજૂઆત હતી કે, આ ગેરકાયદેસર બાંધકામ બાબતે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનરને માહિતી આપવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ જગ્યા પર મંદિર બનાવવામાં આવે અથવા તો સોસાયટીના લોકોને આ જગ્યા ઉપયોગમાં આવે તે રીતે ખાલી કરવામાં આવે.

જાે કે, આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય તો કિન્નરોએ અનશનની ચીમકી ઉચ્ચારી છે.સુરતના ગોડાદરા વિસ્તારમાં સોસાયટીમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ મામલે કિન્નરોએ વિરોધ નોંધાવતા બિલ્ડરો દ્વારા ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી રામરાજ્ય સોસાયટીમાં COPની જગ્યામાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે ચાર માળનો એપાર્ટમેન્ટ ઉભો કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કિન્નરો દ્વારા કરવામાં આવ્યો છે.

આ બાબતે કિન્નરો દ્વારા અગાઉ સુરત મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બિલ્ડરો દ્વારા કિન્નરોને ધમકી આપવામાં આવી હોવાના કારણે કિન્નરો સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, છતાં પણ કોઈ નિરાકરણ નહીં

આવતા હવે કિન્નરો દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.તો બીજી તરફ કિન્નરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડર રાજકીય વગ ધરાવતો હોવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ મામલે કિન્નરોએ ચીમકી ઉચ્ચારી છે કે, જાે આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં કિન્નર સમાજ અનશન પર ઊતરશે. ઉલ્લેખનીય છે કે, આ વિવાદ છેલ્લા એક મહિનાથી ધીરે ધીરે આગળ વધી રહ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers