Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાકિસ્તાનમાં હિંદુઓનું સરકારી ધર્મ પરિવર્તન

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં હિંદુઓનું ધર્મ પરિવર્તન રોકાવાનું નામ નથી લઈ રહ્યું. હવે સિંધુ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતા ૫૦ પરિવારોના ઓછામાં ઓછા ૫૦ હિંદુઓનું ઈસ્લામમમાં ધર્મપરિવર્તન કરાવાયું છે. દાવો કરાઈ રહ્યો છે કે, ગરીબ હિંદુઓને રૂપિયા સહિત બીજી જરૂરી સુવિધાઓની લાલચ આપવામાં આવી.

એટલું જ નહીં, આ સમયે પાકિસ્તાન સરકારના એક મોટા મંત્રીનો દીકરો પણ ઉપસ્થિત હતો. પાકિસ્તાનનો સિંધ પ્રાંત પહેલેથી જ ધર્મ પરિવર્તનને લઈને બદનામ છે. તેમ છતાં પાકિસ્તાનની સરકાર ગેરકાયદેસર ધર્મ પરિવર્તન રોકવા અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કંઈ નથી કરી રહી. એ જ કારણ છે કે, આઝાદી પછીથી પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થતી જઈ રહી છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલના રિપોર્ટ મુજબ, મીરપુરખાસ ડિવીઝનના જુદા-જુદા ક્ષેત્રોમાં રહેતા પરિવારોના ઓછામાં ઓછા ૫૦ સભ્યોએ ઈસ્લામ કબૂલ કર્યો છે. આ ધર્મ પરિવર્તનને એક સ્થાનિક મદરેસા બૈતુલ ઈમાન ન્યૂ મુસ્લિમ કોલોનીમાં આયોજિત કરાયો હતો. તેમાં પાકિસ્તાનના ધાર્મિક બાબતોનો મંત્રી સીનેટર મુહમ્મદ તલ્હા મહમૂદનો દીકરો મોહમ્મદ શમરોઝ ખાન પણ હાજર રહ્યો હતો.

આ કાર્યક્રમના આયોજક અને સિંધમાં ધર્મ પરિવર્તનનું રેકેટ ચલાવતા કારી તૈમૂર રાજપૂતે પુષ્ટિ કરી છે કે, ૧૦ પરિવારોએ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે. કારી તૈમૂર રાજપૂતે દાવો કર્યો કે, આ બધા લોકો સ્વૈચ્છાએ ઈસ્લામમાં પરિવર્તિત થયા છે. તેમને કોઈએ મજબૂર નથી કર્યા. તેમણે એમ પણ કહ્યું કે, મંત્રીના દીકરાએ કથિત રીતે નવા ધર્માંતરિક લોકોની પણ પૂછપરછ કરી કે શું તેઓ સ્વૈચ્છાએ ધર્માંતરણ સમારંભમાં સામેલ થવાનો ર્નિણય કર્યો છે કે કોઈએ દબાણ કર્યું છે.

રાજપૂતે કહ્યું કે, ૫૦ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું, જેમાં ૨૩ મહિલાઓ અને એક વર્ષની બાળકી સામેલ છે. હિંદુમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તિત લોકો ૨૦૧૮માં ધર્માંતરિત નવા મુસ્લિમો માટે ખાસ રીતે સ્થાપિત એક લોકલ કેમ્પમાં રહેશે.

તેઓ આ કેમ્પમાં ચાર મહિના રહેશે અને એ દરમિયાન ઈસ્લામનો અભ્યાસ કરશે અને ધાર્મિક નિયમો-કાયદાઓ શીખશે. છેલ્લા પાંચ વર્ષમાં હજારો લોકો ઈસ્લામમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે અને આવા કેમ્પમાં ધાર્મિક નિયમો શીખી ચૂક્યા હોવાનો રાજપૂતે દાવો કર્યો છે.

આ ધર્મ પરિવર્તનને લઈને હિંદુ કાર્યકર્તાઓએ દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. આવા ધર્મ પરિવર્તન સામે અવાજ ઉઠાવતા એક હિંદુ કાર્યકર્તા ફકીર શિવ કુચ્ચીએ કહ્યું કે, એવું લાગે છે કે, સરકાર પોતે આ ધર્માંતરણમાં સામેલ છે. તેમણે કહ્યું કે, સ્થાનિક સમુદાયના સભ્યો ઘણા વર્ષોથી સરકારને આ પ્રથાને રોકવા કાયદો બનાવવા માગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સિંધમાં ધર્માંતરણ એક ગંભીર મુદ્દો છે અને તેને રોકવા માટે ઉપાય કરવાને બદલે મંત્રીનો દીકરો ધર્માંતરણનો ભાગ બને છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers