Western Times News

Gujarati News

BJP મુસ્લિમ આરક્ષણ આપશે નહિં અને લિંગાયત આરક્ષણમાં ઘટાડો પણ થવા દેશે નહિં: અમિત શાહ

કોંગ્રેસ બજરંગબલીને મંદિરથી કાઢીને ચૂંટણી મેદાનમાં લઇ આવી-મહાદાયીનું પાણી કોંગ્રેસે કર્ણાટકને આપ્યું નથી- મોદીની સરકાર આવ્યા બાદ કર્ણાટકને પાણી મળવા લાગ્યું છે

બેંગ્લોર,  કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પૂરો જાેર લગાવી દીધો છે. રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા છે.

અમિત શાહે કહ્યું કે ભાજપે પીએફઆઈ પર પ્રતિબંધ લગાવીને દેશની સુરક્ષા મજબૂત કરી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી તેની વિરુદ્ધ છે. ભાજપ ન તો મુસ્લિમ આરક્ષણ આપશે અને ન તો રાજ્યમાં લિંગાયત આરક્ષણમાં ઘટાડો થવા દેશે.

અમિત શાહે વધુમાં કહ્યું કે સમગ્ર કર્ણાટકમાં પીએમ મોદી માટે જનતાનું સમર્થન દેખાઈ રહ્યું છે. આના પરથી એ નિશ્ચિત છે કે ભાજપ બહુમતીની સરકાર બનાવી રહી છે. બજરંગબલી તેમના મંદિરમાં હતા પરંતુ કોંગ્રેસ બજરંગબલીને ચૂંટણી મેદાનમાં લાવી છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પીએફઆઈ પર પ્રતિબંધને પચાવી શકી નથી. કોંગ્રેસને ચૂંટણી પહેલા ખેડૂતો યાદ નથી આવતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ખેડૂતો માટે નહીં પરંતુ લઘુમતી માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા આપી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે અમે ધર્મના આધારે આરક્ષણ ખતમ કર્યું છે. લિંગાયત અને એસસી, એસટીને અનામત મળી. બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે જાે તે સત્તામાં આવશે તો મુસ્લિમ આરક્ષણ ૦૬% કરી દેશે. કોંગ્રેસીઓ તમે કોની અનામત કાપશો તે કહો. અનામત કોને આપશો?

ભાજપના વરિષ્ઠ નેતાએ કર્ણાટકમાં પાણીના મુદ્દે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મહાદાયીનું પાણી કોંગ્રેસે કર્ણાટકને આપ્યું નથી. પીએમ મોદીની સરકાર આવ્યા બાદ કર્ણાટકને પાણી મળવા લાગ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે વધુમાં કહ્યું કે કર્ણાટકના લોકો કોંગ્રેસ માટે એટીએમ છે, તેઓ અહીંથી ખજાનો લૂંટીને દિલ્હી લઈ જવા માંગે છે. રાહુલ બાબાએ ૫ ગેરંટી આપી અને યુપી, ઉત્તરાખંડ, ત્રિપુરા સહિત અનેક રાજ્યોમાં હારી ગયા.

રાહુલ બાબા તમારી ગેરેન્ટીની કોઈ ગેરંટી નથી. રાહુલ ગેરંટીના નામે જનતાને ગુમરાહ કરી રહ્યા છે. કોંગ્રેસ ન તો દેશનું રક્ષણ કરી શકે છે અને ન તો દેશનો વિકાસ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ૭૦ વર્ષથી રામમંદિરના કામને અટકાવી દીધું અને ભટકાવ્યું. કોંગ્રેસ કહેતી હતી કે ૩૭૦ હટાવો નહીં કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. ૩૭૦ ખતમ થયાને ૩ વર્ષ થઈ ગયા, કાશ્મીરમાં લોહીની નદી છોડો કાંકરા ફેંકવાની કોઈની હિંમત નથી. SS2


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.