Western Times News

Gujarati News

૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો,

પ્રતિકાત્મક

કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને રિટેન્શન રેટ વધારવા -સ્વચ્છતા સહાય માટે અત્યાર સુધીમાં કુલ રૂ. ૫૭,૧૧૭/- લાખથી વધુની સહાય ચૂકવાઈ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરાયું

૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો, જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩ ટકાથી વધીને ૯૩.૧૨ ટકા સુધી પહોંચ્યો

રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. In 20 years, the drop out ratio of girls in government schools decreased from 33.17 percent to 3.01 percent.

જે અંતર્ગત છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ કુલ રૂ. ૫૭,૧૧૭/- લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ, ધો.૧થી ૭માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા સુધી આવી ગયો છે, જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩ ટકાથી વધીને ૯૩.૧૨ ટકા સુધી પહોંચી ગયો છે.

‘શિક્ષિત કન્યા બે કુળને તારે’ એવી ઉદ્દાત ભાવનાથી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનાં ૨૦ વર્ષની ઉજવણી આગામી તા.૧૨થી ૧૪ જૂન દરમિયાન થનાર છે. ત્યારે આ કાર્યક્રમની ભૌતિક સિદ્ધિરૂપે તેમજ વિદ્યાર્થીઓ માટેની સુવિધાના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ ૫૧,૪૨૦ કન્યા શૌચાલયો, ૨૬,૮૩૦ કુમાર શૌચાલયો તેમજ ૩,૧૦૮ જેટલાં દિવ્યાંગ બાળકો માટેનાં શૌચાલયોનું નિર્માણ રાજ્યની વિવિધ શાળાઓમાં કરવામાં આવ્યું છે.

બીજી તરફ, પ્રવેશોત્સવનાં આ 20 વર્ષના સમયગાળા દરમિયાન કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી તેમનો રિટેન્શન રેટ એટલે કે સ્થાયીકરણ વધારવા વર્ષ ૨૦૦૫-૦૬થી સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા પૂરી પાડવામાં આવે છે.

જે અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં ચાલતા ધોરણોને ધ્યાને રાખી ધોરણ ૧ થી ૪ ની શાળા માટે રૂ. ૧૨૦૦/- તથા ધોરણ ૧ થી ૭ ની શાળા દીઠ રૂ. ૨૪૦૦/- લેખે વાર્ષિક સહાય આપવાનું અગિયારમી પંચવર્ષીય યોજનાથી સૂચવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦-૧૧થી આ સહાયની રકમમાં વધારો કરી માસિક શાળાદીઠ રૂ.૪૦૦/- લેખે સહાય ચૂકવવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫-૧૬થી આ રકમમાં વધારો કરી શાળાદીઠ માસિક રૂ.૧૮૦૦/- લેખેની સહાય ચૂકવવામાં આવતી હતી.

વર્ષ ૨૦૨૦-૨૧થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય માટે શાળાદીઠ વિદ્યાર્થી સંખ્યા પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા ધરાવતી શાળા માટે પ્રતિમાસ રૂ.૧૦૦૦/-, ૧૦૧ થી ૩૦૦ ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૧૮૦૦/-, ૩૦૧ થી ૫૦૦ ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૪૦૦૦, જ્યારે ૫૦૧ કે તેથી વધુની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૫૦૦૦/- પ્રતિમાસ માસિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ પ્રકારે સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૦૫-૦૬માં રૂ.૧૨૮.૭૫ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ રકમનો પૂરેપૂરો ઉપયોગ કરી કન્યા શાળાઓની સ્વચ્છતામાં વધારો કરવામાં આવ્યો હતો. આ આંકડામાં ઉત્તરોત્તર વધારો કરી, વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૩૯૩૪.૩૯/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે ગત વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે રૂ. ૬૮૯૧.૦૦ લાખની જોગવાઈ સામે ૧૦૦ ટકા ભૌતિક સિદ્ધિ સાથે રૂ. ૬૮૯૦.૯૯/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આમ, છેલ્લાં ૧૮ વર્ષમાં (વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૨૨-૨૩સુધી) કુલ રૂ. ૬૨૯૫૩.૭૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે જેમાંથી કુલ રૂ. ૫૭૧૧૭.૧૮/- લાખનો ખર્ચ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતાની જાળવણી માટે કરાયો છે. -ધ્રુવિ ત્રિવેદી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.