Western Times News

Gujarati News

મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુક ૧૯ દિવસથી ભૂખ હડતાલ પર

લદ્દાખમાં સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન -સરકાર લદ્દાખની જમીન, પર્યાવરણને નષ્ટ કરી રહી હોવાનો આરોપ- ચીને તેમના પ્રદેશમાં ઘૂસણખોરી કરી હોવાનો આરોપ

લદ્દાખ,  લદ્દાખમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાજગી વધતી જાય છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં કડકડતી ઠંડીમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુક ૧૯ દિવસથી ભૂખ હડતાલ પર છે. તેમણે લદ્દાખને રાજ્યનો દરજ્જો પાછો આપવાની તથા અહીંના પર્યાવરણને થતું નુકસાન અટકાવવાની માંગણી કરી છે. હજારો લોકો આ વિરોધમાં જોડાયા છે અને લગભગ ૮૦ સંગઠનોએ આ વિરોધ પ્રદર્શનને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

સોનમ વાંગચુકના ટેકેદારો તેમને ભૂખ હડતાલ સમાપ્ત કરવાની વિનંતી કરી રહ્યા છે, પરંતુ તેઓ હજુ ત્રણ દિવસ માટે લડત ચાલુ રાખવા માટે મક્કમ છે. વાંગચુકનું કહેવું છે કે આ વિસ્તારમાં ઔદ્યોગિકરણ થયું હોવાથી અહીં પ્રદૂષણ વધ્યું છે અને પર્યાવરણની રીતે બહુ નાજુક વિસ્તારને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે એવો આરોપ પણ મૂક્યો છે કે ચીને તેમના પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે.

સોનમ વાંગચુકે કહ્યું છે કે તેઓ ૨૧ દિવસની ભૂખ હડતાલ પૂરી કરવાના છે. પરંતુ તેમના ટેકેદારો માને છે કે આટલા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી તેમની તબિયત ખરાબ થઈ જશે. ગઈકાલે લેહ શહેરમાં તેમને ટેકો આપવા માટે લગભગ ૨૦૦૦ લોકો આવ્યા હતા. ગયા બુધવારે કારગીલમાં પણ પ્રદર્શનનું આયોજન થયું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા.
૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરી ત્યાર પછી જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અલગ થયા હતા.

તેના કારણે લદ્દાખને જે પ્રાદેશિક સ્વાયત્તા મળી હતી તે પણ ખતમ થઈ હતી. મોદીએ ૨૦૧૯ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે બંધારણના છઠ્ઠા શિડ્યુલ હેઠળ માન્યતા અપાતા રાજ્યોમાં લદ્દાખને પણ સામેલ કરવામાં આવશે. તેના કારણે લદ્દાખમાં આદિવાસી એરિયાના સંરક્ષણ માટે ચૂંટાયેલી સંસ્થા રચી શકાશે. પરંતુ હજુ સુધી સરકારે તેની ગેરંટી પાળી નથી.

સોનમ વાંગચુકની ઉંમર ૫૭ વર્ષ છે. તેમણે કહ્યું કે લદ્દાખમાં હાલમાં લોકશાહી નથી. અહીં ચૂંટાયેલા લોકો હોત તો અહીની જમીન અને જંગલોનું રક્ષણ થઈ શક્યું હોત. આ વિસ્તારમાં ખાણકામ કરવા માટે ઉદ્યોગો આવી ગયા છે. ગઈ ચોથી માર્ચે ગૃહ મંત્રાલય અને સ્થાનિક આગેવાનો વચ્ચે મિટિંગ થઈ હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ હતી.
કારગીલ ડેમોક્રેટિક એલાયન્સના કો-ચેરમેન અસગર અલી કરબલાઈએ કહ્યું કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ તોછડાઈથી વાત કરી અને અમારી વાતનો યોગ્ય પ્રતિસાદ ન આપ્યો.

એક મિડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકારે લદ્દાખને સ્વાયત્તતા આપવાની માંગણી ફગાવી દીધી છે. પરંતુ સ્થાનિક નોકરીઓ અને જમીનને રક્ષણ આપવાની ઓફર કરી છે. સોનમ વાંગચુકનું કહેવું છે કે કેન્દ્ર સરકારે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર લદ્દાખમાં પશુપાલન કરનારાઓની ઘાસની જમીન પર ૧૩ ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ થોપી બેસાડ્યો છે. તેઓ કહે છે કે લદ્દાખ આપણી પૃથ્વી માટે એક થર્મોમીટર સમાન છે. જો તેનો વિનાશ થશે તો દુનિયા પર આફત તૂટી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.