Western Times News

Gujarati News

વિપક્ષના વોકઆઉટ મુદ્દે મોદીએ કહ્યું તેમને ભાગી જતા જ આવડે છે

વિપક્ષ જનાદેશ પચાવી શકતો નથી-સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે ઃ મોદી

(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી છે. તો જમ્મુ કાશ્મીરમાં પણ ૧૦ વર્ષમાં ત્યાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આતંકવાદ અને અલગતાવાદનો હવે અંત આવી રહ્યો છે. આજે પ્રવાસન ત્યાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને રોકાણ વધી રહ્યું છે.

રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીના લગભગ ૩ કલાક લાંબા સંબોધન બાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. તેની સાથે રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવાઈ છે.

ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખરેએ વિપક્ષના વોકઆઉટ પર નારાજગી દર્શાવતા કહ્યું કે, બધા સાંસદો બોલી શકે તે માટે ગઈકાલે મોડી રાત્ર સુધી ગૃહ ચાલુ રાખ્યું. પરંતુ વિપક્ષે જે રીતે વર્તન કર્યું છે તે મારુ નહી પણ સદનનું અપમાન કર્યું હોય તેવુ છે. વિપક્ષે ગૃહ નહીં મર્યાદા છોડી. આજે બંધારણનો અનાદર થયો છે. હું વિપક્ષના વોકઆઉટની નિંદા કરું છું.

બંધારણ એ કંઠસ્થ કરવા માટેનું પુસ્તક નથી પણ યાદ રાખવા માટે છે. બંધારણનું પુસ્તક હાથમાં રાખવાનું નથી. તેને અનુસરવાનું છે. વિપક્ષ તેમના વર્તન અંગે મંથન કરશે, દિલને ઢંઢોળશે અને આત્મ કર્તવ્ય પર આવશે. ઉપાધ્યક્ષની વિપક્ષને કરેલ ટકોર બાદ, વડાપ્રધાને તેમનુ સંબોધન આગળ વધારતા કહ્યું કે, ૧૪૦ કરોડની જનતાએ જે જનાદેશ આપ્યો છે તેને પચાવી શકતા નથી. ગઈકાલે તેમના તમામ પેતરા નિષ્ફળ ગયા છે આથી આજે તેઓ મેદાન છોડીને ભાગી ગયા છે. હુ ડિબેટમાં સ્કોર કરવા નથી આવ્યો. હુ તો સેવક છુ.

વડાપ્રધાને તેમના સંબોધન દરમિયાન કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે કે, જુઠ્ઠાણા ફેલાવનારાઓ સાચુ સાંભળી શકતા નથી. તેમણે ઉઠાવેલા સવાલોનો જવાબ સાંભળવાની તાકાત નથી. આ અપર હાઉસનુ અપમાન કરી રહ્યાં છે. દેશની જનતાએ દરેક રીતે તેમને પરાજીત કર્યાં છે કે તેમની પાસે ગલી મહોલ્લામાં ચીથરેબાજી સિવાય કશુ બચ્યું નથી.

નારેબાજી, હોબાળો કરવો અને ભાગી જવું એ જ તેમને આવડે છે. વડાપ્રધાને કહ્યું કે, નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપીને તેમની સમસ્યાનો ઉકેલ કર્યો છે. તેમને લોન લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી. પરંતુ સરકારે અપનાવેલી નવી નીતિને કારણે કિસાન ક્રેડિટ કાર્ડ આપીને તેમની સમસ્યાનો કાયમી અંત લાવ્યા છીએ. માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડમાં આવરી લેવાયા છે.

બંધારણને લઈને પીએમ મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો. ગઈકાલે પણ વિપક્ષી સાંસદોએ લોકસભામાં સતત હોબાળો મચાવ્યો હતો. આજે પણ રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો છે. પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષોમાં સમર્પણ અને સતત સેવા સાથે કરવામાં આવેલા પ્રજાલક્ષી કામને જનતાએ દિલથી સમર્થન આપ્યું છે.

દેશની જનતાએ તેમના આશીર્વાદ આપ્યા છે. દેશની બુદ્ધિમત્તા પર ગર્વ છે. કારણ કે દેશની જનતાએ કુપ્રચારને પરાસ્ત કર્યો છે. કાર્યને સમર્થન આપવામાં આવ્યું છે. વિશ્વાસના રાજકારણ પર જીતની મહોર લગાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.