ઇરાનમાં ફસાયેલાં ૧૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓ આર્મેનિયાના રસ્તે પરત ફરશે

સરહદો ખુલ્લી છે, વિદેશી નાગરિકો જઈ શકે છેઃ ઇરાન
આ દરમિયાન ભારતે પોતાના વિદ્યાર્થીઓને ઇરાનમાંથી બહાર કાઢવા માટે આર્મેનિયાના રાજદૂતની સાથે વાતચીત કરી છે
નવી દિલ્હી,ઈઝરાયેલ સાથે સતત ચોથા દિવસે ચાલી રહેલી લડાઈની વચ્ચે ઇરાને સોમવારે વિદેશી નાગરિકોને દેશ છોડવાની મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન ભારતે પોતાના વિદ્યાર્થીઓને ઇરાનમાંથી બહાર કાઢવા માટે આર્મેનિયાના રાજદૂતની સાથે વાતચીત કરી છે. વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ ભારતીય વિદ્યાર્થીઓને આર્મેનિયા બોર્ડર પર નોરદુજ ચોકીથી બસો દ્વારા બહાર કાઢવામાં આવશે. ઇરાનમાં ૧૫૦૦ વિદ્યાર્થી સહિત ૧૦ હજાર ભારતીય ફસાયેલા છે. ઇરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે વર્તમાન હાલતમાં દેશના એરપોર્ટ ભલે બંધ છે, પરંતુ જમીની સરહદો ખુલ્લી છે.
વિદેશી નાગરિકોને ઇરાન છોડતા પહેલા રાજદ્વારી મિશનો દ્વારા ઇરાનના જનરલ પ્રોટોકોલ વિભાગને પોતાનું નામ, પાસપોર્ટ નંબર, ગાડીની વિગત, દેશમાંથી નિકળવાનો સમય અને જે બોર્ડરથી જવા ઈચ્છે છે, તેની જાણકારી પહેલા આપવી પડશે. ઇરાનના અલગ-અલગ શહેરોમાંથી ભારતીય વિદ્યાર્થીઓ આર્મેનિયાથી અડીને આવેલી નોરદુજ બોર્ડર પર પહોંચશે. અહીંથી વિદ્યાર્થીઓને બસ દ્વારા આર્મેનિયાના યેરવન એરપોર્ટ લઈ જવાશે. ત્યાર પછી આ વિદ્યાર્થીઓને વિમાન દ્વારા ભારત લાવવામાં આવશે.
ઇઝરાયેલ-ઈરાનના સૈન્ય સંઘર્ષની વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે તેહરાનમાં ભારતીય દૂતાવાસ સતત સુરક્ષા સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઇરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.સાથે જ કેટલાક મામલામાં વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અન્ય વ્યવહાર્ય વિકલ્પો પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આગળની જાણકારી પણ આપવામાં આવશે. આ ઉપરાંત, દૂતાવાસ વેલ્ફેર અને સુરક્ષાના સંબંધમાં ભારતીય સમુદાયોના આગેવાનોના સંપર્કમાં છે.SS1