પોલીસ VVIP બંદોબસ્તમાં વ્યસ્ત શાહીબાગમાં ૧૦ દુકાનના તાળાં તૂટ્યા

તસ્કરો સોના, ચાંદી, રોકડ સહિત ૨૦ લાખની મતાની ચોરી કરી પલાયન
આ મામલે પોલીસે અમિતભાઇ શાહની ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે
અમદાવાદ,પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં વીવીઆઇપીની અવર જવર રહે છે. સિવિલ હોસ્પિટલ શાહીબાગ પોલીસ મથકની હદમાં આવે છે, જેના કારણે પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી વીવીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત રહે છે. ત્યારે શાહીબાગ સુજાતા ફલેટની સામે આવેલા મલ્લીનાથ કોમ્પ્લેક્સની ૧૦ દુકાનના તાળાં તોડી તસ્કરો રોકડ, દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને અંદાજે રૂ.૨૦ લાખની મતા ચોરી ગયા હતા. એક જ રાતમાં જે ૧૦ દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી તેમાં એક જ્વેલરી શોપનો પણ સમાવેશ થાય છે.
ત્યાંથી દાગીના અને રોકડ મળીને કુલ રૂ.૧૬.૧૪ લાખની મતાની ચોરી થઈ હતી. જ્વેલરી શોપના સીસીટીવીમાં કેદ થયેલી ચોરીની ઘટનાની તસ્વીરના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.સુભાષબ્રિજ કેશનવગર આસુતોષ રેસિડેન્સીમાં રહેતા અમિતભાઈ મોહનલાલ શાહ(૪૩) મલ્લીનાથ કોમ્પ્લેક્સના પહેલા માળે મારુતિ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. અમિતભાઈને છેલ્લા ૧ વર્ષથી પેટની તકલીફ હતી. જો કે તા.૯ જૂને તેમની તબિયત બગડતા સાંજે દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા.
જ્યારે તા.૧૫ જૂનના રવિવારે સવારે ૮ વાગ્યે તેમના કોમ્પ્લેક્સમાં હેર સલુન ધરાવતા અશોકભાઈ નાઈએ ફોન કરીને કહ્યું હતું કે આપણા કોમ્પ્લેક્સની દુકાનોના તાળા તૂટેલા છે. તમારી દુકાનનું શટર પણ અડધુ ખુલ્લું છે. જેથી અમિતભાઈ દુકાને આવ્યા હતા અને જોયું તો દુકાનના ડ્રોઅરમાંથી રૂ.૧૫.૪૯ લાખની કિંમતના સોના – ચાંદીના દાગીના અને રોકડા રૂ.૬૫ હજાર મળીને કુલ રૂ.૧૬.૧૪ લાખની મતાની ચોરી થઈ હતી. આ ઉપરાંત અન્ય ૯ દુકાનોના તાળાં તૂટ્યાં હતાં. જેમાંથી કેટલીક દુકાનોમાંથી ચોરી થઈ હતી તો કેટલીક દુકાનોમાંથી કશું ગયું ન હતું. કુલ ૨૦ લાખની મતાની ચોરી થઇ હોવાનું જણાયું છે. આ મામલે પોલીસે અમિતભાઇ શાહની ફરિયાદ નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.SS1