ગુજરાતમાં PM આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા

પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી, 37 મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા
આરોગ્ય, શિક્ષણ તેમજ આજીવિકામાં અંતરને દૂર કરીને ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાનો પીએમ જનમન યોજનાનો ઉદ્દેશ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં જુલાઈ 2025 માટે ટોચનું રાજ્ય બન્યું છે. પીએમ જનમન યોજનાના અમલીકરણ માટે દર મહિને સ્ટેટ રેંકિંગ જાહેર કરવામાં આવે છે, જેમાં જુલાઈ મહિનામાં ગુજરાત પ્રથમ સ્થાન પર છે. આ દર્શાવે છે કે આદિજાતિના વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના 18 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વસતા 75 પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTG) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર, 2023ના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનનો પ્રારંભ કર્યો હતો.
આ મિશનનો ઉદ્દેશ નિશ્ચિત સમયમર્યાદામાં ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG)ને આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, પાણી, વીજળી, આજીવિકા અને કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું સામાજિક ઉત્થાન કરવાનો છે. ગુજરાતમાં આવા 5 ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG) વસે છે, જેમાં કાથોડી, કોટવાળિયા, પઢાર, સિદ્દી અને કોલઘા જૂથોનો સમાવેશ થાય છે. આવા જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત
કાર્યરત છે.
પીએમ જનમન મિશન હેઠળ ગુજરાતે કરેલી પ્રગતિ
પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTGs) ને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે, જેમાં આવાસ, રોડ-રસ્તાની કનેક્ટિવિટી, પાઇપ મારફતે પાણીનો સપ્લાય, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ, નવીન આંગણવાડીઓનું નિર્માણ, વીજળીકરણ, મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન, વન ધન વિકાસ કેન્દ્રો તેમજ મલ્ટીપર્પઝ સેન્ટરોની સ્થાપનાનો સમાવેશ થાય છે.
આ મિશન હેઠળ આ સમુદાયના લોકોના ઘર-પરિવારોનો સર્વે કરીને કોને કઈ સુવિધાની જરૂર છે, અને ક્યાં કેટલો ગેપ રહેલો છે, તે શોધીને તે મુજબ સુવિધાઓના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે, અને તે મુજબ તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યમાં પીએમ જનમન હેઠળ PVTG સમુદાયો માટે દ્વારા 12,489 આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રોડ નેટવર્કની વાત કરીએ તો આ મિશન હેઠળ 17 રોડ-રસ્તાઓની કનેક્ટિવિટી મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2803 ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી, અને આ તમામ એટલે કે 100% ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
આ સમુદાયોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. પીએમ જનમન મિશન હેઠળ, PVTG સમુદાયોની મહિલાઓ માટે આગામી સમયમાં 67 આંગણવાડીઓ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે શિક્ષણના હેતુથી 13 હોસ્ટેલોના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે.
આ મિશન હેઠળ, વીજળી નહોતી પહોંચતી એવા 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે, તેમજ 37 મોબાઈલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. વધુ 34 મોબાઈલ ટાવરો સ્થાપિત કરવાનું કાર્ય પ્રગતિમાં છે.
વધુમાં, વન પેદાશો પર પ્રાથમિક પ્રક્રિયા અને તેમના મૂલ્યવર્ધનમાં PVTG સમુદાયના લોકોના સક્રિય જોડાણ દ્વારા તેમની આજીવિકા અને આવકમાં વધારો કરવાના ઉદ્દેશથી આ મિશન હેઠળ 21 વન ધન વિકાસ કેન્દ્રો (VDVKs) સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કૌશલ્ય તાલીમ, પોષણ, આરોગ્ય સેવાઓ, પુખ્ત શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે PVTG સમુદાય માટે 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવાની મંજૂરી આ મિશન હેઠળ આપવામાં આવી છે.
આ તમામ પાયાની સુવિધાઓ માટે ભારત સરકારના 8 મંત્રાલયો દ્વારા સહયોગ આપવામાં આવે છે, જેમાં ગ્રામ વિકાસ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વિદ્યુત મંત્રાલય, સંચાર મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલયનો સમાવેશ થાય છે.
પીએમ જનમન મિશન માટે ગુજરાતે હાથ ધર્યું IEC કેમ્પેઇન
ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા પીએમ જનમન મિશન હેઠળ IEC કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું. આ કેમ્પેઇન દરમિયાન 920 પીએમ જનમન સેલ્ફી પોઇન્ટ્સ બનાવવામાં આવ્યા, 473 સ્થળોએ વૉલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા, 1446 જેટલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવવામાં આવ્યા અને 32 હજારથી વધુ પેમ્ફલેટ્સ વહેંચવામાં આવ્યા. આ IEC કેમ્પેઇન હેઠળના કાર્યક્રમો દરમિયાન વિવિધ લાભાર્થી કેન્દ્રિત યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા.
જેમાં, 23,374 લાભાર્થીઓને આધાર કાર્ડ આપવામાં આવ્યા, 12,229 લાભાર્થીઓને પીએમ જન ધન ખાતા ખોલવામાં આવ્યા, 466 લાભાર્થીઓને પીએમ માતૃવંદના યોજનાનો લાભ મળ્યો, 2998 લાભાર્થીઓને કાસ્ટ સર્ટિફિકેટ, 14,827 લાભાર્થીઓને રાશન કાર્ડ, 1051 લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ, 1 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા તેમજ 4048 લાભાર્થીઓને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો.