Western Times News

Gujarati News

સિંગર ઝુબીન ગર્ગના કેસમાં મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝરની ધરપકડ

મુંબઈ, સિંગર ઝુબીન ગર્ગ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝુબીન ગર્ગના મૃત્યુ મામલે તેના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ ના ચીફ ઓર્ગેનાઈઝર શ્યામકાનુ મહંતની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ બાદ બંનેને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે, ઝુબીન ગર્ગના મેનેજર અને ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝરની પૂછપરછ કરવામાં આવી રહી છે.સિંગાપોરથી નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ મહંતની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સિદ્ધાર્થ શર્માની ગુરુગ્રામના એક એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે.

આસામ સરકારે ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં ડૂબી જવાથી સિંગરના મોત બાદ મૃત્યુની તપાસ માટે સ્પેશિયલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એમપી ગુપ્તાના નેતૃત્વમાં ૧૦ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરી હતી.

સીટએ મહંત, શર્મા અને સિંગાપોર આસામ એસોસિએશનના સભ્યો અને મહોત્સવ માટે સિંગાપોર ગયેલા લોકો સહિત અનેક લોકોને હાજર રહીને પોતાના નિવેદનો નોંધાવવા માટે નોટિસ ફટકારી હતી.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અગાઉ કહ્યું હતું કે, શ્યામકાનુ મહંત અને સિદ્ધાર્થ શર્મા વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં તેમને ૬ ઓક્ટોબર સુધીમાં સીઆઈડી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં લોકપ્રિય સિંગર ઝુબીન ગર્ગનું નિધન થયું હતું. તેઓ વોટર સ્પોટ્‌ર્સ એક્ટિવિટી માટે યાટ પર ગયા હતા, જ્યાં તેઓ લાઇફ જેકેટ વિના સ્કુબા ડાઇવિંગ કરવા ગયા હતા અને આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેમનું મૃત્યુ અકસ્માત હતું. પરંતુ બાદમાં સંજોગો શંકાસ્પદ બનતા આસામ સરકારના નિર્દેશન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.